બોટાદનાં ગઢડાના જૂના મંદિરમાં ભાદરવી અગિયારસનાં દિવસે જળઝીલણીની એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. જૂના મંદિરમાં આજે 12 વર્ષ બાદ એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એકાદશી નિમિત્તે આજે વાજતે ગાજતે ઠાકોરજી એટલે કે ભગવાન સ્વામિનારાયણની પાલખી યાત્રા નીકળશે.
ઠાકોરજીની આ જળયાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay rupani) પ્રસ્થાન કરાવશે. છેલ્લાં 12 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો. જેનાં કારણે આ મંદિરમાં જળઝીલણી અગિયારસ (Jaljilni ekadasi) ની ઉજવણી થતી ન હતી. ત્યારે હવે 12 વર્ષ બાદ ફરી આ યાત્રા નિકળી રહી છે. ત્યારે આજનાં આ કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ભાદરવો માસ એ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદી એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદી એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદી એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. ત્યારે આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ કહેવાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે.