કોર્ટે તેને સારવાર માટે એન્ટીગા એન્ડ બારબૂડા જવાની મંજૂરી આપી છે. જોકે તબિયત સારી થયા બાદ તેણે કોર્ટની સુનાવણીમાં ભાગ લેવો પડશે તેવી શરત પણ કોર્ટે કરી છે. ડોમિનીકામાં ગેરકાયદેસર પ્રવેશના આરોપસર 25 મે ના દિવસે ચોકસીની ધરપકડ કરવામાં આવી હતી. ચોકસીએ તેની ધરપકડને હાઈકોર્ટમાં પડકારતા જણાવ્યું હતું કે એન્ટીગુઆમાંથી ધરપકડ કરીને તેને ડોમિનીકા લાવવામાં આવ્યો છે.
ચોકસીને સારવાર માટે એન્ટીગા જવાની મંજૂરી મળી
મીડિયા રિપોર્ટ અનુસાર, ચોકસી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર દાખલ થવાને લઈને જે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી, તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. . મેહુલ ચોકસી ભારતથી ફરાર થયા બાદ 2018થી એન્ટીગુઆમાં રહે છે. હાલમાં તે લાપતા થયો હતો. તેના પરિવારજનોએ ચોકસીના અપહરણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાને લઈ તેની ધરપડક કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. ચોકસીએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન માંગ્યા હતા. તેના આધારે તેને રાહત મળી છે.
ભારત પ્રત્યર્પણની રાહમાં અડચણ આવશે
કોર્ટના ચુકાદા બાદ મેહુલ ચોકસીને ભારત લાવવો ભારતીય એજન્સીઓ માટે મુશ્કેલ બનશે. હકીકતમાં ચોકસી પોતાની જાતને એન્ટીગુઆનો નાગરિક ગણાવી રહ્યો છે અને એન્ટીગુઆની સાથે ભારતની પ્રત્યર્પણ સંધી નથી. જોકે ભારતીય એજન્સીઓનું કહેવું છે કે ચોકસીએ ભારતની નાગરિકતા છોડી નથી તેથી તે એન્ટીગુઆનો નાગરિક નથી.
13500 કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં વોન્ટેડ
ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્કના 13500 કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં વોન્ટેડ છે. ભારત સરકાર સતત એન્ટીગુઆથી તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી છે.