પૂર્વ સીએમ રૂપાણી અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા મહેન્દ્ર ફળદુના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.
મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો
ભાજપના નેતાઓ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચ્યા
મહેન્દ્ર ફળદુના ગુનેગારો હજુ પણ પકડથી દૂર
રાજકોટના જાણીતા બિલ્ડર અને સૌરાષ્ટ્રની જાણીતી યુવી કલબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ ગઈ 2 માર્ચના દિવસે ઓઝોન ગ્રુપ સહિત 7 ઈસમો સામે ગંભીર આરોપો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. જો કે આ બનાવને 5 દિવસ વીતી ગયા હોવા છતા આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના હાલના મંત્રી સહિતના રાજકીય આગેવાનો ફળદુ પરિવાર ને સાંત્વના પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા.
પરિવારને ન્યાય મળે એવી પણ હું અપીલ કરું છું: પૂર્વ સીએમ રૂપાણી
મહેન્દ્ર ફળદુના આપઘાત બાદ અનેક રાજકીય આગેવાનો તેમના પરિવારજનોની મુલાકાતે અનેક આગેવાનો પહોંચ્યા હતા.ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેન્દ્ર પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાજકોટ આવ્યા બાદ આજે મહેન્દ્રભાઈના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યો હતો. મહેન્દ્રભાઈ સમાજમાં ખૂબ સારી નામના ધરાવતા હતા. જે બન્યુ તે દુઃખદ બન્યું છે. મહેન્દ્રભાઈ હિંમતવાન હતા અને ખૂબ સેવાભાવી હતા. કમનસીબે આપઘાત કરવો પડ્યો છે. તેમના પરિવારને સાંત્વના પાઠવી છે, પરિવારને ન્યાય મળે એવી પણ હું અપીલ કરું છું. પરિવારની અપેક્ષા છે કે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
મહેન્દ્રભાઈના મિત્ર તરીકે તેમના પરિવારને સાંત્વના પાઠવી: મંત્રી બ્રિજેશ મેરજા
રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા પણ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા પણ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, મહેન્દ્રભાઈ કડવા પટેલ સમાજના હોનહાર આગેવાન તો હતા જ. પરંતુ સર્વ સમાજ માટેની તેમના દિલમાં સંવેદના હતી તે અમે પ્રસંગોપાત જોતા હતા. આજે જ્યારે મહેન્દ્રભાઈ નથી ત્યારે તેમના મિત્ર તરીકે તેમના પરિવારને સાંત્વના પાઠવી છે.
તપાસમાં ભીનું સંકેલવાના પ્રયાસ?
સામાન્ય માણસ જ્યારે કોઈ ગુનો આચરે ત્યારે તેઓ અને પોલીસ ગણતરીની કલાકોમાં શોધી લાવતી હોય છે અને પત્રકારોને બોલાવી પ્રસિદ્ધિ મેળવતી હોય છે.જોકે શહેરના એક અગ્રણી અને નામાંકિત બિલ્ડર એ આત્મહત્યા કરી લીધી જેમાં અનેક મોટા ગજાના બિલ્ડરો સહિતના મોટા માથાઓના નામ છે ત્યારે પોલીસ આ લોકો સુધી પાંચ દિવસ બાદ પણ નથી પહોંચી શકી.ત્યારે હાલ તો લોકોમાં પણ પોલીસની કામગીરીને લઇને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે અને સમાજ સહિત વકીલો પણ મહેન્દ્ર ફળદુ આપઘાતનો મામલે પરિવારને ઝડપથી ન્યાય મળે તેની માંગી કરી રહ્યા છે.
7 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાઇઃ રાજકોટ પોલીસ
2 માર્ચના રોજ સાંજે 8:30 વાગ્યે રાજકોટ પોલીસમાં 7 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ અમદાવાદના અને 2 આરોપીઓ રાજકોટના રહેવાસી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા જયેશ કાંતિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ તમામ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે.પણ આજે 5 દિવસ થયા હોવા છતાં પણ પોલીસ તપાસમાં કે આરોપીની ભાળ મેળવવામાં કોઈ જ સફળતા હાથ લાગી નથી.
મહેન્દ્ર ફળદુએ સુસાઈડ પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં શું કહ્યું?
આત્મહત્યા પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું હતું કે મનસુખભાઈ એમ. સુરેજા, અતુલ મેહતા, અમદાવાદ, અમિત ચૌહાણ , રાજકોટ, જયેશ કાંતિલાલ પટેલ , ડાયરેક્ટર, ઓઝોન ગૃપ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલ, 2007માં 48 હજારથી વિશેષ વારની જગ્યામાં રોકાણ કર્યુ છે જેનાથી આપ સર્વે માહિતગાર છો તમામ રકમ ચૂકવેલ છે, તમામ નિયમની મેં અમલવારી કરેલ છેતેમ છતા ટસ્કની પ્રોજેક્ટમાં તમે અમોને દસ્તાવેજ કરી આપેલ નથી કે અમારી પાસેથી પ્લોટ પરત લેતા નથી એનકેન પ્રકારે અમને ખુબ હેરાન કરવામાં આવ્યા આ બુકિંગ મારા ઉપરાંત મારા નાના ભાઈ શૈલષભાઈ, બીજો નાનો ભાઈ રમેશભાઈ, મારા કાકા વિનુભાઈ અને મિત્રોના મારફતે તમારે ત્યાં ઓછામાં ઓછી એક લાખવાર જગ્યાનું બુકિંગ કરાવ્યું છે 2007માં આ તમામ રકમ ચુકવી આપેલ છે, જે તમારા બેન્ક ખાતામાં જમા છે ઈન્કમ ટેક્સમાં રિર્ટનમાં પણ આ રકમ બોલે છે 2007થી આ જગ્યાના દસ્તાવેજો કરાવવા માટે વિનંતીઓ કરી કોઈ જવાબ કે કોઈ પ્રકારનો સાથ સહકાર મળ્યો નથી ત્યાં જમીનનો ભાવ વધી ગયો છે અમને કાઢી મુકવા કે સસ્તા ભાવે પ્લોટ પચાવી પાડવાના સતત પ્રયત્નો કરાયા તેમની ઓફિસે જતા વારંવાર મને ગોળગોળ ફેરવ્યો. જે બાદ કોઈ છેડો ન મળતા આખરે કંટાળી મહેન્દ્ર ફળદુએ જિંદગી સાથે આપઘાત કરી છેડો ફાડી લીધો હતો.