આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ કઈ ખાસ કમાલ કરી શકી નથી અને હવે ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે સતત સાતમીવાર હારનો સામનો કરવો પડ્યો. તે બાદ હવે CSK પ્લેઓફની રેસમાંથી બહાર દેખાઈ રહી છે.
પહેલી વાર CSK પ્લેઓફ રમ્યા વિના જ ટૂર્નામેન્ટની બહાર થઈ શકે
ટીમ આઇપીએલની બહાર થઈ જવાની અણી પર આવી ગઈ
ચેન્નઈ પોઇન્ટ ટેબલમાં હાલ સૌથી છેલ્લા એટલે કે આઠમા ક્રમે
આઇપીએલની ૧૩મી સિઝનમાં પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફ રમ્યા વિના જ ટૂર્નામેન્ટની બહાર થઈ શકે છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ સામે પરાજય બાદ સીએસકેની ટીમ આઇપીએલની બહાર થઈ જવાની અણી પર આવી ગઈ છે. ૧૦ મેચમાંથી સીએસકે માત્ર ત્રણ જ મેચ જીતી શકી છે. હવે સીએસકે સામે પોતાની બચેલી ચારેય મેચ જીતવા ઉપરાંત અન્ય ટીમની હાર પર નિર્ભર રહેવું પડશે.
ચેન્નઈની ટીમને ગઈ કાલે રાજસ્થાન સામેના પરાજયથી બહુ મોટું નુકસાન થયું. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ૨૦૦મી આઇપીએલ મેચમાં ટીમે વધુ શરમજનક પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૨૫ રન જ બનાવી શકી. વર્તમાન આઇપીએલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો.
ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે જ્યારે ચેન્નઈની ટીમ પ્લેઓફમાં નહીં રમી શકે. આ વખતે જેવાં સમીકરણ છે તે જોતાં હવે સીએસકેનું પ્લેઓફમાં પહોંચવું અશક્ય લાગી રહ્યું છે. ટીમે પ્રથમ સિઝનથી અત્યાર સુધી રમેલી પોતાની દરેક ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં સ્થાન પાકું કર્યું હતું. ચેન્નઈની અત્યાર સુધી સૌથી વધુ વાર ફાઇનલ રમી ચૂકી છે. ત્રણ ખિતાબ જીતનારી આ ટીમ કુલ પાંચ વાર ફાઇનલમાં પહોંચી છે. ગત વર્ષે પણ આ ટીમ રનરઅપ રહી હતી.
ચેન્નઈ પોઇન્ટ ટેબલમાં હાલ સૌથી છેલ્લા એટલે કે આઠમા ક્રમે છે. તેના ખાતામાં ૧૦ મેચ બાદ ત્રણ જીતથી છ પોઇન્ટ છે. હવે બાકીની ચારેય મેચમાં તેણે જીત હાંસલ કરવાની સાથે એ પ્રાર્થના કરવી પડશે કે રાજસ્થાન અને કોલકાતા પોતાની બાકી બચેલી બધી જ મેચમાં હારી જાય.