સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં 5 શ્વાનને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારબાદ એક શ્વાનપ્રેમીએ વીડિયો વાયરલ કરીને શ્વાનને ઝેર આપી મારી દેવાયા હોવાનો આક્ષેપ કર્યા છે.
સુરત શહેરમાં શ્વાનના આતંકને સામે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા ભેસ્તાન વિસ્તારની વિનાયક રેસીડેન્સીમાં 5 શ્વાનને ઝેરી દવા આપીને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે શ્વાન પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક શ્વાનપ્રેમીએ વીડિયોમાં જણાવ્યું કે, કૂતરાને ઝેર આપીને મારી નખાયા છે, જેમાં એક કૂતરી હતી જે ગર્ભવતી હતી.
આ ઘટનાની ફરિયાદ પાલિકાના ઉધના ઝોનને મળી હતી. જ્યારબાદ શ્વાનના નિકાલની કામગીરી કરાઇ હતી. જોકે આ તમામ શ્વાનના મૃત્યુ ઝેરથી થયા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. આ મામલે પોલીસ અને એનિમલ વેલફર ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે. જે અંગે પોલીસ કમિશનર, કલેક્ટર, મ્યુ.કમિશનર અને જિલ્લા એનિમલ વેલફરને ફરિયાદ કરાઇ છે. તો પાલિકામાં થયેલી ફરિયાદમાં વીડિયો સાથેના પુરાવા આપવામાં આવ્યા છે.
વિનાયક રેસીડેન્સીમાં સોસાયટીના જ 40 વર્ષના દિવ્યેશ પટેલ નામના વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં દિવ્યેશ પટેલ નામના વ્યક્તિએ જ ચીકનમાં ઝેર આપીને મારી નાંખ્યાનું જણાવ્યું છે. વીડિયોમાં શ્વાન તરફડીયા મારતુ નજરે ચઢે છે.