છેલ્લા 12 દિવસથી દિલ્હીની બોર્ડર પર આંદોલન કરવા બેઠેલા ખેડૂતોએ આવતીકાલે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓ પર પલટવાર કર્યો છે.
ખેડૂત આંદોલન પર ભાજપનો પલટવાર
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વિપક્ષીઓની મથામણ : ભાજપ
12 દિવસથી આંદોલન પર બેઠા છે ખેડૂતો
ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત આંદોલનને લઈને વિપક્ષ પર બે મોઢાવાળા હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનો આરોપ છે કે વિપક્ષી પાર્ટીઓ ડબલ વલણ અપનાવી રહી છે. કોંગ્રેસની સરકારો જ APMC એકટમાં બદલાવ કરવા માટે માંગ કરી હતી અને તે જ કોંગ્રેસ હવે આંદોલનનું સમર્થન કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી કરવામાં આવેલ પ્રેસ કોન્ફ્રેન્સમાં રવિ શંકર પ્રસાદે કહ્યું કે જમીનના નવા કાયદા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બધા કાયદાઓ ખેડૂતોને સુવિધાઓ આપે છે અને વિશ્વાસ આપે છે. ખેડૂતોની જમીનો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિપક્ષી પાર્ટીઓ ડબલ વલણ અપનાવી રહી છે.
પ્રસાદે કહ્યું કે આજે વિપક્ષી પાર્ટીઓ, કોંગ્રેસ અને NCP અને સહયોગી દળોનું શરમજનક ચરિત્ર હવે દેશની સામે આવી ગયું છે. આ બધા પક્ષોનું રાજકીય અસ્તિત્વ જ ખત્મ થઇ રહ્યું છે અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે કોઈ પણ આંદોલનમાં સામેલ થઇ જાય છે. જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે તેમણે પોતે જ બધા રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાઈવેટ ક્ષેત્રની ભાગીદારી વધવી જોઈએ.
ભારતીય જનતા પાર્ટી બંધનું સમર્થન કરી રહેલ દરેક પાર્ટી પર પ્રહાર કર્યા. રવિશંકર પ્રસાદે આમ આદમી પાર્ટી પર હુમલો કરતા કહ્યું કે કેજરીવાલ સરકારે જ 23 નવેમ્બરના રોજ નવા કાયદાને નોટીફાઈ કરીને લાગુ કરી દીધો અને અહિયાં હવે વિરોધ કરી રહ્યા છે.
પ્રસાદે કહ્યું કે ખેડૂતોએ સાફ સાફ કહ્યું છે કે રાજકીય લોકો તેમના મંચ પર ન આવે, અમે તેમની ભાવનાનું સન્માન કરીએ છે પરંતુ અત્યારે બધા કૂદી રહ્યા છે કારણ કે ભાજપ અને મોદી સરકાર છે એટલે જ વિરોધ કરવાની તક પણ મળી રહી છે.