2010માં થયેલી RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા મામલે CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીને આજીવન કેદ અને 15 લાખનો દંડ ફટકાર્યો છે. અમિત જેઠવાની હત્યા મામલે આરોપીઓને કોર્ટે કુલ 60 લાખ 50 હજારનો દંડ ફટકાર્યો છે.
જેમાંથી મૃતકના પરિવારને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાંથી 5 લાખ અમિત જેઠવા(Amit jethva)ની પત્ની અને બન્ને સંતાનોને 3-3 લાખ રૂપિયા અપાશે. કોર્ટે શૈલેષ પંડ્યાને આર્મસ એક્ટ પ્રમાણે આજીવન કેદની સજા અને 10 લાખનો દંડ ફટકાર્યો છે.
જ્યારે ઉદાજી ઠાકોરને 25 હજાર, શિવા પાચાણને 8 લાખ, શિવા સોલંકીને 15 લાખ, કોન્સ્ટેબલ બહદુરસિંહ વાઢેરને 10 લાખ, સંજય ચૌહાણને 1 લાખ અને દીનુ બોઘા સોલંકીને 15 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે શા માટે અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી?
જેઠવાની હત્યા(Murder) કેમ થઈ?
અમિત જેઠવાના સ્વભાવમાં લડત હતી અને તે હત્યાનું કારણ બની. સલમાન-આમિર ખાન સામે જેઠવા કેસ કરી ચૂક્યા છે. ખાંભામાં નોકરી કરતી વખતે જેઠવાને સોલંકી સાથે અણબનાવ થયો હતો. આ અણબનાવ પછી સોલંકી અને જેઠવા વચ્ચે મૈત્રી થઈ હતી. ખાંભામાં સસ્પેંડ થયા અને નિઝરમાં સરકારે ફરી નોકરી પર મુક્યા હતા. નિઝરમાં પણ સરકારી નોકરીમાં માથાકૂટ કરી અને કેસ થયો હતો. વન્ય જીવ સૃષ્ટિના રક્ષણ માટે ગીર નેચર યુથ ક્લબની સ્થાપના કરી હતી. ગીરના સરહદી વિસ્તારમાં સંસ્થાના 5 હજાર સભ્યો બનાવ્યા હતા.
સરકારી અધિકારીઓ સામે જેઠવાએ ખૂબ ફરિયાદો કરી
2005માં માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યો હતો. કાયદાથી વિવાદાસ્પદ માહિતી મેળવી અને કાર્યવાહી કરાવી હતી. રાજકીય વર્ચસ્વ ધરાવતા લોકો સામે જેઠવાએ લડત ચલાવી હતી. ગીર વિસ્તારના સરકારી અધિકારીઓ સામે જેઠવાએ ખૂબ ફરિયાદો કરી હતી. અમદાવાદમાં રહીને કોડીનારની ગેરકાયદે ખાણો સામે લડત ચલાવી હતી. જેઠવાની ફરિયાદો પછી ભૂસ્તર વિભાગ-પોલીસને દરોડા કરવાની ફરજ પડી હતી.
વિધાનસભામાં સોલંકી સામે જેઠવાએ ફોર્મ ભર્યું
કોડીનારના પીછવી તળાવમાં ખનન મામલે જેઠવાએ લડત તેજ કરી અને કોડીનારની આ લડતને કારણે દીનુ સોલંકીની મુશ્કેલી વધી હતી. 2007 સુધીમાં સોલંકી અને જેઠવાને દુશ્મની થઈ ચૂકી હતી. 2007માં કોડીનાર વિધાનસભામાં સોલંકી સામે જેઠવાએ ફોર્મ ભર્યું હતું. સોલંકી ચૂંટણી જીતી ગયા પણ જેઠવાએ તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી.
હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઇ
2009માં અમિત જેઠવા પર કોડીનારમાં જીવલેણ હુમલો થયો હતો. હત્યાના ગુનેગાર શિવા સોલંકી સામે જેઠવાએ ફરિયાદ પણ નોંધાવી હતી. ગીરમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો વિશે જેઠવાએ માહિતી માગી હતી. માહિતી ન મળતા અમિત જેઠવાએ ઉપર સુધી લડાઈ માંડી હતી. જેઠવાની અરજીથી વિજિલન્સની તપાસ થઈ, સોલંકીને 40 લાખનો દંડ થયો હતો. અંબુજાના બે વહાણોને કંડલા બંદરે સીલ કરાવવામાં જેઠવાની ભૂમિકા હતી. 20મી જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઈ હતી.