અમદાવાદમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઈ હોવાની અફવાએ જોર પકડ્યું છે. ત્યારે હવે આ મામલે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આવા મેસેજ ફેલાવનાર પર કડકમાં કડક કાર્યવાહી થશે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવીની અફવા છેલ્લા ઘણા સમયથી ફેલાઈ છે. આ અફવાને પગલે માતા-પિતાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે.
આવા મેસેજ ફેલાવનાર પર થશે કડક કાર્યવાહીઃ જીતુ વાઘાણી
સ્કૂલમાંથી બાળકો ઉઠાવી જવાની અફવા મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, મારી વાલીઓને વિનંતી છે કે અમારો શિક્ષણ વિભાગ એમની વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત છે. ચૂંટણી આવતી હોય છે ત્યારે હંમેશા આ પ્રકારની વિકૃતિઓ, અપ્રચાર, જૂઠાણાઓ ફેલાવીને જનતામાં એકપ્રકારનો ભય ફેલાવવાનો પ્રયાસ થતો હોય છે. જે લોકો આ અફવા ફેલાવી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત તેમણે લોકોને વિનંતી કરતા કહ્યું કે, કોઈપણ નાની મોટી ઘટના બને તો તુરંત જ તંત્રનો, સ્કૂલનો, અમારો અને પોલીસનો સંપર્ક કરે.
સોશિયલ મીડિયાના કારણે આ અફવાએ જોર પકડ્યું
નોંધનીય છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ મોટાપાયે સક્રિય થઈ છે અને તે બાળકોને સાંજના સમયે કારમાં ઉઠાવીને નાસી છૂટે છે આવી અફવા છેલ્લા ઘણા દિવસોથી ફેલાઈ છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે આ અફવાએ જોર પકડ્યું છે. અફવાના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. લોકો પોતાના બાળકોને ઘરની બહાર મોકલતા ડરી રહ્યા છે.
અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષને માર
આ ઉપરાંત આવી અફવાના કારણે ઘણીવાર નિર્દોષ વ્યક્તિને વગર વાંકે સહન કરવાનો વારો આવે છે. અપહરણ કરતી ગેંગના વહેમમાં લોકો નિર્દોષોને ઢોર માર મારે છે. આવા અનેક બનાવો છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહ્યા છે.