દ્વારકાના ભાણવડમાં ખોદકામ દરમિયાન જૂનું ભોંયરૂ મળી આવ્યું છે. મસ્જિદની બાજુમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે 400 વર્ષ જૂનું ભોંયરૂ મળી આવ્યું છે. કલેક્ટર સહિત પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. ઐતેહાસિક વારસો ધરાવતા ભાણવડમાં ભોંયરૂ મળી આવતા લોકોમાં ચર્ચા જાગી છે.
દ્વારકાના ભાણવડમાં ખોદકામ દરમિયાન જૂનું ભોંયરૂ મળી આવ્યું
રોડનું કામ ચાલુ હતું ત્યારે અંદાજિત 400 વર્ષ જૂનું ભોંયરૂ મળી આવ્યું
ઐતિહાસિક વારસો ધરાવતા ભાણવડમાં ભોંયરૂ મળી આવતા લોકોમાં ચર્ચા
ભાણવડમાં જુમા મસ્જિદ નીચેથી ભોંચરૂ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. રોડનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન ભોંયરૂ મળી આવ્યું હતું. આ ભોયરૂં મળી આવતા પાલિકા તંત્રને જાણ કરી તાત્કાલીક કામ અટકાવી દેવાયું હતું. જ્યારે મામલતદાર દ્વારા આ અંગે કલેક્ટર અને પુરાતત્વ વિભાગને જાણ કરાઇ હતી.
આ ભોંયરૂ 400 વર્ષ જૂનું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કલાત્મક વાવ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જોકે પુરાતત્વની તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ ભોંયરૂ કેટલું જૂનું છે. આ ભોંયરૂ 15થી 20 મીટર ઉંડું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ભોંયરૂ મળી આવતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યાં હતા.
મહત્વનું છે કે, મામલતદારે જણાવ્યું હતું કે, પુરાતત્વ વિભાગ દ્વારા જો આ ભોયરૂ પૌરાણિક હોવાનું સાબિત કરશે તો ઐતિહાસિક ધરોહરને સાચવવા કવાયત હાથ ધરવામાં આવશે.