મોરબી દુર્ઘટના પર મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુલનું સંચાલન કરતી કોન્ટ્રાક્ટ કંપની ટિકિટના નક્કી કરેલા ભાવો કરતા વધારે ભાવ વસુલ કરતી હતી. કંપની અને તંત્ર વચ્ચેના એગ્રીમેન્ટની કોપી VTV પાસે આવી છે.
VTV પાસે કોન્ટ્રાક્ટ કંપની અને તંત્ર વચ્ચેનું એગ્રીમેન્ટ
લાલચુ કોન્ટ્રાક્ટ કંપનીની કરતૂત અંગે ઘટસ્ફોટ
નક્કી કરેલા ભાવ કરતા વધારે ભાવ વસુલ કરતી હતી કોન્ટ્રાક્ટ કંપની
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મોરબી દુર્ઘટના પર મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુલનું સંચાલન કરતી કોન્ટ્રાક્ટ કંપની ટિકિટના નક્કી કરેલા ભાવો કરતા વધારે ભાવ વસુલ કરતી હતી. નગરપાલિકા અને કંપની વચ્ચે થયેલા એગ્રીમેન્ટની કોપી પણ VTV પાસે આવી છે.
ઝુલતા પુલને લઈને ઓરેવા ગ્રુપ સાથે કરાયો હતો એગ્રીમેન્ટ
અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) અને મોરબી નગરપાલિકા વચ્ચે 15 વર્ષ માટે એટલે કે માર્ચ - 2022થી લઈને માર્ચ 2037 સુધી ઝુલતા પુલનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. અગ્રીમેન્ટ મુજબ, અગ્રીમેન્ટના સમય દરમિયાન ઝુલતતા પુલની આવક-ખર્ચ ઓરેવાના હિસ્સામાં રહેશે. તેમજ તમામ એડમીનીસ્ટ્રેટીવ કાર્યો જેમ કે સ્ટાફ એપોઈમેન્ટ, સફાઈ, ટિકિટ બુકિંગ, મેઈન્ટનન્સ, કલેક્શન, ખર્ચના હિસાબો વગેરે કામ ઓરેવા ગ્રુપ સંભાળશે. જે કામોમાં સરકારી, બિન સરકારી, નગર પાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઈપણ એજન્સીઓનો હસ્તક્ષેપ રહેશે નહીં.
નક્કી કરેલા ભાવ કરતા વધારે ભાવ વસુલ કરતી હતી કોન્ટ્રાક્ટ કંપની
આ અગ્રીમેન્ટમાં ટિકિટના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા હતા. જે મુજબ પ્રથમ વર્ષ એટલે કે 2022-23 દરમિયાન ટિકિટનો ભાવ 15 રૂપિયા નક્કી કરાયો હતો. જોકે, કંપની વર્ષ 2022-23ના નક્કી ભાવો કરતા વધારે ટિકિટની વસુલાત કરતી હતી. સામાન્ય ટિકિટના ભાવ રૂ.15ને સ્થાને રૂ.17ની વસુલાત થતી હતી. સાથે જ બાળકોની ટિકિટના નિયત ભાવ રૂ.10ને બદલે રૂ.12 વસુલવામાં આવતા હતા.
મૃતદેહો જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠ્યા
મોરબીમાં હોનારત... દુર્ઘટના એવી કે આખા ગુજરાતની આંખોમાં આંસુ આવી ગયા. બાળકો અને મહિલાઓના મૃતદેહો જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠયા, આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.
અત્યાર સુધીના તમામ અપડેટ:
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો