પીડિત મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડતા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો
મયુરસિંહ રાણાના પરિવારે વાતને છેક PMO સુધી પહોંચાડી
ગઈકાલે શ્રત્રિય સમાજે પણ પોલીસમાં રજૂઆત કરી હતી
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો અગાઉ રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જ્યાર બાદથી તે અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી સતત દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી.
દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ
વધુમાં તમને જણાવી દઇએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
હુમલો કર્યાના 8 દિવસ બાદ પણ દેવાયત ખવડ પોલીસ પક્કડથી છે દૂર
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.
દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન છેઃ DCP
DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
સાથે સંકળાયેલા લોકોના પણ નિવેદન લેવાયા: DCP
તેઓએ જણાવ્યું કે, આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં આ કેસ ઝડપથી ઉકેલાય જાય તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.
ધરપકડ નહીં થાય તો સત્યાગ્રહ પર ઉતરીશુંઃ ક્ષત્રિય સમાજના આગેવાન
પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો થયાના 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી નથી. આજે અમે બીજી વખત આવેદન આપવા માટે પહોંચ્યા છીએ. જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું.
પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા ક્ષત્રિય સમાજના આગેવાનો
મહત્વનું છે કે, રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી નથી. દેવાયત ખવડની ધરપકડ ન થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા.