ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાંને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું વલસાડથી અંદાજે 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ગોવાના પણજી પાસેથી આગળ વધી રહ્યું છે. જો કે રાજ્યમાં સંભવિત વાવાઝોડાંને લઇને ભાવનગર તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જિલ્લાના 35થી વધારે ગામોમાં એલર્ટ અપાયું છે.
ભાવનગર તંત્ર સંભવિત વાવાઝોડાંને લઇ એલર્ટ
માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના
તમામ બંદોરો પર 1 નંબરનુ સિગ્નલ લગાવાયું
ગુજરાત પર સંભવિત વાવાઝોડાંને લઇને ભાવનગરનું તંત્ર પણ અલર્ટ થઇ ગયું છે. હાલ ભાવનગરનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લાના ઘોઘાના દરિયા કિનારે બોટો લંગારવામાં આવી છે. જ્યારે તમામ બંદરો પર 1 નંબરનુ સિગ્નલ લાગાવાયું છે. સંભવિત વાવાઝોડાંને લઇ જિલ્લાના 35થી વધુ ગામોમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
ભાવનગરમાં જોવા મળ્યો હતો વરસાદ
ભાવનગરમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોના ઘરમાં પાણી ભરાતાં ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા.
જિલ્લાના ગાયત્રીનગર, ઘોઘાસર્કલમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં વાહનો દબાયા હતા. આ તરફ બાર્ટન લાયબ્રેરી રસ્તા પર ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટ થવાના કારણે વીજળી ગુલ થઇ હતી. જેને લઇને સમગ્ર વિસ્તારમાં અંધાર પટ છવાયો હતો.