વડોદરામાં કોરોના વાયરસના કારણે રોજ બિનસત્તાવાર રીતે 10 થી 15 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, તેમ છતાં પાલિકા તંત્ર માત્ર એક કે બે દર્દીઓ મૃત્યુ પામતા હોવાના દાવા કરે છે ત્યારે તંત્રના દાવાનો ફિયાસ્કો સ્મશાનની પરિસ્થિતિ પરથી થઈ રહ્યો છે.
વડોદરામાં કોરોનાના મોતમાં અધધ વધારો
કોરોનામાં મોત વધતાં સ્મશાનમાં વેઇટિંગ
મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 5 થી 8 કલાકનું વેઇટિંગ
વડોદરામાં કોરોના વાયરસ ના રોજ 120 થી વધુ કેસ આવી રહ્યા છે. અત્યારસુધી કોરોનાના 8308 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે સત્તાવાર રીતે અત્યારસુધી કોરોના થી 145 દર્દીઓના મોત થયા છે. પરંતુ બિનસત્તાવાર રીતે કોરોના થી દર્દીઓના મોતનો આંકડો અનેક ગણો છે. વડોદરામાં કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મોત થતાં દર્દીઓના સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે 5 થી 8 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે જેના કારણે મૃતક દર્દીઓના સગા હેરાન પરેશાન થઈ રહ્યા છે.
મહત્વની વાત છે કે બહુચરાજી અને ગોત્રી કોવિડ સ્મશાનમાં મૃતકોની સંખ્યા વધતાં બે ગેસ ચિતા બગડી છે જેના કારણે મૃતક દર્દીઓના અંતિમસંસ્કાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે. વડોદરાના સામાજિક કાર્યકર અને મૃતક ના સંબંધી અતુલ ગામેચિ એ આક્ષેપ કર્યો છે કે તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે, સાથે જ સ્મશાનમાં ગેસની ચિતા બગડી છે તેના કારણે કલાકો રાહ જોવી પડી છે.
વડોદરાના સ્મશાનમાં ગેસ ચિતા બગડી હોવાનો અને મૃતકોના અંતિમસંસ્કાર કરવા પાછળ કલાકો સુધી રાહ જોવાની વાતનો સ્વીકાર પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વીકાર કરી રહ્યા છે. સાથે જ બહુચરાજી અને ગોત્રી સ્મશાનમાં એક કે બે દિવસમાં ગેસ ચિતા રિપેર થઈ જશે તેવો દાવો પણ કરી રહ્યા છે.