વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં કોરોનાને લઇને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે કે, કોરોનાથી IQ અને મગજ પર તેની ખરાબ અસર થાય છે.
કોરોનાના નવા અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
મગજ પર કોરોનાની અસર 20 વર્ષ સુધી રહેતી હોવાનો દાવો
કોરોનાની અસર 10 IQ પોઈન્ટ ગુમાવવા બરાબર હોવાનો દાવો
કોરોનાના નવા અભ્યાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં મગજ પર કોરોનાની અસર 20 વર્ષ સુધી રહેતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઈમ્પીરીયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોની એક ટીમે સંશોધનમાં દાવો કર્યો છે કે કોરોનાથી મગજ પર ગંભીર અસર થાય છે. મેમરી-IQ અને મગજ પર કોરોનાની ખરાબ અસર થાય છે. કોરોનાની અસર 10 IQ પોઈન્ટ ગુમાવવા બરાબર છે.
સંક્રમણ બાદ દર્દીઓમાં જોવા મળે છે કંઇક આવાં લક્ષણો
રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, કોરોના સંક્રમણ કાયમી જ્ઞાનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં સંક્રમણ બાદ થાક લાગવો, શબ્દો યાદ રાખવામાં તકલીફ થવી, ઊંઘની સમસ્યા તેમજ ચિંતા સહિતના લક્ષણો જોવા મળે છે.
કરાયો હતો મેમરી ટેસ્ટ
સંશોધનકર્તાએ કોરોનાના 46 દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 16ને ICUમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને માર્ચ અને જુલાઈ 2020 વચ્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના સંક્રમણના 6 મહિના બાદ કોગ્નિટ્રોન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. આ પરીક્ષણ મેમરી, ધ્યાન અને તર્ક જેવાં માનસિક પાસાઓને માપવા માટે માનવામાં આવતા. આ ઉપરાંત, ચિંતા, ડિપ્રેશન અને અન્ય તણાવ સંબંધિત વિકૃતિઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ICUમાં દાખલ દર્દીઓ પર કોરોનાની અસર વધુ જોવા મળી હતી.
આ સંશોધન કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઈમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર એવું સામે આવ્યું છે કે, કોરોનાની અસર 10 IQ પોઈન્ટ ગુમાવવા બરાબર છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડેવિડ મેનનના જણાવ્યાં અનુસાર, નિયમિત ઉંમર વધવાની સાથે ઉન્માદ અને જ્ઞાનાત્મક ક્ષતિ સામાન્ય છે, પરંતુ કોરોનાના કેસોમાં જોવા મળતી પેટર્ન અલગ હતી. રિપોર્ટ અનુસાર, કોરોના સંક્રમણના 6 મહિનાથી વધુ સમય બાદ પણ તેની અસર જાણી શકાય છે. માત્ર એટલું જ નહીં, સંક્રમણ બાદ આ અસરો બરાબર થવાનો દર પણ ઘણો ધીમો છે.
ઘણા મહિનાઓ બાદ પણ લોકો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે
ઈમ્પીરીયલ કોલેજ લંડનના મગજ વિભાગના પ્રોફેસર એડમ હૈમ્પશાયરએ જણાવ્યું કે, માત્ર ઈંગ્લેન્ડમાં જ કોરોનાથી સંક્રમિત હજારો લોકોએ આ ભારે સંભાળમાંથી પસાર થવું પડ્યું. ઘણા લોકો ખૂબ જ ગંભીર રીતે બીમાર હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા.
તેમણે જણાવ્યું હતું કે, આનો અર્થ એ થયો કે અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જેઓ ઘણા મહિનાઓ બાદ પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આપણે તુરંત એ જોવાની જરૂર છે કે આ લોકોની મદદ કેવી રીતે કરી શકાય? સંશોધકના જણાવ્યાં અનુસાર, આવું પ્રથમ વખત થયું છે કે, COVID-19 બાદની અસરોને લઇને આ પ્રકારનું કોઈ સંશોધન કરવામાં આવ્યું હોય.