11 અઠવાડિયાના ઘટાડા પછી, ભારતમાં આ અઠવાડિયે ફરીથી કોવિડ-19 કેસમાં વધારો જોવા મળ્યો છે. અને આ વધારો જરા નહીં પણ 35% જેટલો માતબર વધારો છે.
ભારતમાં કોવિડ-19 ના કેસમાં ફરી વધારો
સાત દિવસમાં કેસોની સંખ્યામાં 35% નો વધારો
ગઇકાલ કરતાં આજે લગભગ ડબલ કેસ
ચોથી લહેરનું આગમન?
સતત 11 અઠવાડિયાના ઘટાડા પછી, ભારતમાં આ અઠવાડિયે ફરીથી કોવિડ-19 કેસમાં વધારો જોવા મળ્યો. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને આજુબાજુના રાજ્યોમાં છેલ્લા સાત દિવસમાં ચેપના વધારા સાથે કેસોની સંખ્યામાં 35% નો વધારો જોવા મળ્યો છે.
આજે કેસ સંખ્યા લગભગ બમણી
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કોરોના કેસ નોંધાયા છે તો 1985 દર્દીઓ થયા રિકવર, મૃત્યુઆંક 214 અને એક્ટિવ કેસની સંખ્યા 11,542 થઈ ગઈ છે.
India reports 2,183 fresh #COVID19 cases, 1,985 recoveries and 214 deaths in the last 24 hours.
જો કે, કુલ કેસોની સંખ્યા ઓછી છે અને અત્યાર સુધીમાં કેસમાં વધારો ત્રણ રાજ્યો સુધી મર્યાદિત છે. પરંતુ આ વધતા આંકડાએ ચિંતા વધારી છે. કોવિડ ડેટાબેઝ મુજબ, ભારતમાં રવિવાર (એપ્રિલ 11-17)ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લગભગ 6,610 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસમાં 4,900 હતા.
અગાઉ છેલ્લા અઠવાડિયામાં લગભગ 7,010 કેસ નોંધાયા હતા. પરંતુ આ વખતે કેરળના આંકડા સામેલ નથી. કારણ કે રાજ્યએ ચાલુ સપ્તાહથી કોવિડ ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. કેરળમાં ગયા અઠવાડિયે (4-10 એપ્રિલ) 2,185 કેસ નોંધાયા હતા.
રવિવારે દિલ્હીમાં કોવિડ-19ના 517 નવા કેસ નોંધાયા હતા અને ઇન્ફેકશનનો દર 4.21 ટકા નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, શહેરમાં આજે કોરોના વાયરસના ચેપને કારણે કોઈનું મોત થયું નથી.
હરિયાણામાં, સાપ્તાહિક કેસ વધીને 1,119 થઈ ગયા, જે અગાઉના સપ્તાહના 514 ની સરખામણીમાં 118% વધુ છે. ઉત્તર પ્રદેશમાં સંખ્યામાં 141%નો વધારો નોંધાયો છે. યુપીમાં આ અઠવાડિયે 540 કેસ નોંધાયા છે જે ગયા સપ્તાહે 224 હતા. યુપી હરિયાણા, બંને રાજ્યોમાં, મોટાભાગના નવા કેસ દિલ્હીને અડીને આવેલા એનસીઆર શહેરોમાંથી આવી રહ્યા છે, જેમ કે ગુડગાંવ, નોઈડા અને ગાઝિયાબાદ.
દિલ્હીમાં કોરોનાએ વધાર્યું ટેન્શન
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં શનિવારની તુલનામાં છેલ્લા 24 કલાકમાં 12 ટકાનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ-19ના 517 નવા કેસ સામે આવ્યા છે.જો કે આ દરમિયાન કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. પોઝિટિવિટી રેટ 5.33 ટકાથી ઘટીને 4.21 ટકા થયો છે.
15 દિવસમાં કોરોના કેસમાં આવ્યો 500 ટકાનો વધારો
દિલ્હીમાં કોવિડ પર કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર પોતાના નજીકના લોકોને કોવિડ રિપોર્ટ કરનારા લોકોની સંખ્યામાં 500 ટકાનો વધારો થયો છે. દિલ્હી એનસીઆરમાં લગભગ 19 ટકા લોકોએ એક સર્વેમાં જણાવ્યું છે કે તેમને ઓળખનારા એક અથવા વધુ લોકો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી સંક્રમિત થયા છે.કોરોનાના કેસ પર સર્વે કરનારી ફર્મ લોકલસર્કિલે કહ્યું કે, જો તમે છેલ્લા 15 દિવસના ડેટા પર નજર નાખો તો સંક્રમણના કેસોની સંખ્યામાં 500 ટકાથી વધુનો વધારો થયો છે. આ સર્વેમાં દિલ્હી અને એનસીઆરના તમામ જિલ્લાના 11,743 લોકોની માહિતી લેવામાં આવી હતી.