ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગંભીરતાથી લીધી છે. તેમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા 8 વ્યક્તિઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી હતી. તો હવે આ સમગ્ર દુર્ઘટના મામલે તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો. આ રિપોર્ટમાં દુર્ઘટનાના કારણનો ખુલાસો થયો છે.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરાઇ હતી.
મુખ્યમંત્રીએ આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓને તેમની તપાસનો અહેવાલ 3 દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. તો આ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ દ્વારા અમદાવાદ મહાપાલિકા, FSL, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે(સોમવાર) આ બન્ને અધિકારીઓએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો છે.
આ અહેવાલ જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બની હતી. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે.
આ સમગ્ર ઘટનાને લઈને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓએ મુખ્યમંત્રીને સોંપેલા તપાસ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ આજ રોજ રાજ્ય સરકારે આપ્યા છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.