છત્તીસગઢ કોંગ્રેસમાં આંતરિક ડખો
છત્તીસગઢમાં સત્તાનો સંઘર્ષ હવે રાહુલ ગાંધીનાં દરબારમાં આવી પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રાજ્યમાં કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજ્યનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા TS સિંહદેવ વચ્ચે સૌથી મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં સિંહદેવને હવે રાજ્યનાં મુખ્યમંત્રી બની જવું છે. આ પહેલા ભૂપેશ ઘણીવાર કહી ચૂક્યા છે કે જો હાઇકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપી દઇશ પરંતુ તેમના જૂથનાં ધારાસભ્યો જલ્દી માની જાય એમ નથી. એવામાં હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લેવામાં અક્ષમ હોય તેવું દેખાઈ રહ્યું છે. વારંવાર કોંગ્રેસમાં આવા વિવાદો જોવા મળે છે ત્યારે વિવાદોને શાંત કરવા માટે કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક લીડરશિપની ઉણપ હોય તેવું દેખાઈ રહ્યું છે.
CM બદલાશે તેવી અટકળો તેજ
છેલ્લા 24 કલાકથી છત્તીસગઢમાં CM બદલાઈ જશે તેવી ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. 40 જેટલા ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાંખીને બેઠા છે.
વર્ષો જૂનો છે વિવાદ
નોંધનીય છે કે વર્ષ 2018માં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે ભૂપેશ બઘેલને કમાન સોંપવામાં આવી હતી. તે સમયે પણ એવી અટકળો થઈ હતી કે અઢી વર્ષ બાદ સિંહદેવને રાજ્યનાં સીએમ બનાવી દેવામાં આવશે. જોકે ત્યારે અને અત્યારે આજ સુધી આ અટકળો પર કોંગ્રેસ દ્વારા આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.
મુખ્યમંત્રી કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહીં
દિલ્હી જતાં પહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે મને સંદેશ આવ્યો છે કે હું રાહુલ ગાંધી સાથે મુલાકાત કરું. તેમના આદેશ અનુસાર હું દિલ્હી જઈ રહ્યો છે અને તેનાથી વધારે મારી પાસે કોઈ જાણકારી નથી.
સિંહદેવ મુખ્યમંત્રી બની જવા માટે તલપાપડ
નોંધનીય છે કે આ પહેલા રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી સિંહદેવે સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે કોઈ પ્લેયર ટીમમાં રમે તો પછી કેપ્ટન બનવાનું કેમ ન વિચારી શકે?