શક્તિની ઉપાસનાનુ મહાપર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિની સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો પર આખુ વર્ષ પોતાની કૃપા વરસાવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. ભક્તિભાવથી આ ઉપાય કરવામાં આવે તો સારુ ફળ મળે છે. જાણો માતા જગદંબાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.
માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તોને વિવિધ તાપ એટલે કે શારીરિક, દૈવિક અને ભૌતિક પીડામાંથી મુક્તિ આપે છે. આવા ભક્તોને સુખ સંપત્તિ અને આરોગ્યનો આશીર્વાદ મળે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા માટે પૂજામાં લાલ રંગના ફૂલનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. માતાજીને ઝડપથી પ્રસન્ન કરવા માંગતા હોવ તો નવરાત્રિના નવ દિવસમાંથી એક દિવસ માતાજીને કમળનું ફૂલ ચોક્કસથી ચડાવો. ધનની દેવી માતા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. આ ફૂલને ચડાવી પૂજા કરવાથી ધન, સંપત્તિનો આશીર્વાદ મળે છે.
શક્તિની પૂજા આરાધના કરવામાં કોઈ ક્ષતિ રહી જાય તે શક્ય છે. તેનુ નિદાન પણ ધર્મ શાસ્ત્રમાં છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા પછી ક્ષમા પ્રાર્થના પણ આપેલી છે. તેમાં માતાજીને અરજી છે કે પૂજા દરમિયાન ભૂલ-ચુક થઈ ગઈ હોય તો દુર્ગા સપ્તશતીના અંતમાં ક્ષમા પ્રાર્થના કરી માતાજીની માફી માંગવાનો ઉલ્લેખ છે. આ ક્ષમા યાચના સિવાય માતાજીની પૂજા સંપન્ન નથી થતી. માતાજીની પૂજા શ્રદ્ઘાપૂર્વક અને વિધિસર થાય તેવો પ્રયત્ન કરવો.
ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર કરવા નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પાસે સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. ગણેશજીની પૂજા પણ વિધિ-વિધાનથી કરો. આમ કરવાથી તમારી બધી બાધાઓ દૂર થશે.
નવરાત્રિમાં કમળના ફૂલ પર બેઠેલા લક્ષ્મીજીની છબિની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. આમ કરવાથી અંબાજીની સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા મળશે.
આર્થિક મુશ્કેલી દૂર કરવા નવરાત્રિમાં માતાજીને લાલ કપડામાં કોડી વીંટીને અર્પણ કરો. આ પોટલીને પોતાના ઘરની તિજોરીમાં રાખી દો.