દિલ્લી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે ભાજપની ચંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. પાંચ કલાકથી પણ વધુ મેરોથાન સમય સુધી આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છત્તીસગઢ અને રાજસ્થાનના ઉમેદવારોને લઈને ભારે ચર્ચા વિચારણા થઈ. આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે છત્તીસગઢમાં ભાજપ તમામ 11 બેઠક પર ઉમેદવારોને ઉતારશે.
મહત્વની વાત તો એ છે કે, છત્તીસગઢમાં તમામ 11 સીટો પર નવા ઉમેદવારોને ભાજપ ટિકિટ આપશે. જેના કારણે હાલના કાર્યરત તમામ સાંસદોની ટિકિટ કપાઈ છે. હવે જોવાનુ એ રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારોની યાદીમાં કોને સ્થાન આપશે. જો કે કાર્યરત તમામ સાંસદોની ટિકિટ કપાતા ભાજપના સાંસદોનો પણ રોષ સામે આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીમાં આગામી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ માટે દિગ્ગજ નેતાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મંગળવારે મોડી રાત સુધી દિલ્લી મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઇ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, અરૂણ જેટલી અને નીતિન ગડકરી સહિત અન્ય નેતા ઉપસ્થિત રહ્યાં. એક મળતાં અહેવાલ મુજબ આજે ભાજપ પોતાની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા. લોકસભા ચૂંટણીને લઇને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે ત્યારે ભાજપ દ્વારા હજુ સુધી કોઇ યાદી બહાર પાડવામાં આવી નથી.