ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક કરી, પાર્ટી માટે કામ કરવાનો સમય હોવાનું કહી ઉમેર્યું.કે ગુજરાતના મતદારો કોંગ્રેસને ઈચ્છે છે.બસ,કામ કરો.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી
નવા પ્રભારી ડો.રઘુ શર્માની ઉપસ્થિતિ
સંગઠન મજબૂત કરવા પર મુકાયો ભાર
ગુજરાતમાં ભાજપાની નવી સરકાર રચાયા બાદ,કોંગ્રેસ ચૂંટણીમાં અસંખ્ય પછડાટ, મૂઢમાર અને પાર્ટી છોડી જનારની ભરમાર પછી હવે જાણે આળસ મરડીને બેઠી થઇ હોય તેમ સંગઠન મજબૂત કરવા તરફ પ્રેરાઈ છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા એ આજે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી, પાર્ટી માટે કામ કરવાનો સમય હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના મતદારો કોંગ્રેસને ઈચ્છે છે અને સરકાર બન્યા પછી બધું જ બધાને મળશે તેવો વિશ્વાસ પણ પ્રભારી શર્માએ આપ્યો છે.
પાર્ટીમાં કામ કરવાનો સમય -ડો.શર્મા
ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્ય દળની એક બેઠક આજે મળી હતી.આ બેઠક નવા નિયુક્ત થયેલા પ્રભારી ડો.રઘુ શર્માની અધ્યક્ષતામાં મળી હતી.રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો રઘુ શર્માએ ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી બનતા જ કહ્યું કે, જરૂર પડશે તો હું રાજસ્થાન સરકારમાં મંત્રીપદ પણ ઠુકરાવી દઈશ. મે 17 વર્ષ પાર્ટીનું સિંચન સંગઠનમાં રહીને કર્યું છે.ધારાસભ્યોને શીખ આપતા ડો.શર્માએ કયું કે, હાલ સમય પાર્ટી માટે કામ કરવાનો છે, તો એ કરો, અને ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસને ઈચ્છે જ છે. સરકાર બન્યા બાદ બધાને બધુ જ મળશે.
હવે પદ નહિ,પ્રતિષ્ઠા માટે લડીશું -ધાનાણી
ગુજરાત કોન્ગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે,રઘુ શર્મા મંત્રીપદ દાવ પર લગાવી શકે તો અમે કેમ નહી? આમ કહી,પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા તરીકે હવે આગળ કાર્યભાર વહન નહીં કરવાના સંકેત આપી દીધા છે. ધાનાણીએ ઉમેર્યું કે, પ્રભારીએ મંત્રી પદ મુકી સંગઠન પસંદ કર્યું છે.રઘુ શર્મા જો સરકારમાં પદ છોડી શકતા હોય તો અમે એક કાર્યકર્તા છીએ. હવે પદ માટે નહી પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું તેમ કહેતા ધાનાણીએ તમામ સમાજ સાથે આગળ રાખી નવી જવાબદારી મળશે તે નિભાવવા પ્રતિબદ્ધતા દાખવી હતી.