ગુજરાતમાં સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ હવે નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
આગામી 2 3 દિવસમાં ગુજરાતને મળશે મંત્રીમંડળ
જાતિના આધારે મંત્રીઓને બનાવાય તેવી પ્રબળ શક્યતાઓ
નીતિન પટેલનું મંત્રીમંડળમાંથી પણ પત્તું કપાય તેવી શક્યતા
જાતિનાં આધારે આગામી મંત્રીમંડળ કરાશે તૈયાર
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓને બદલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરીવાર પાટીદાર સમાજ પર જ વિધાનસભા ચૂંટણીનો દારોમદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે ત્યારે હવે જ્ઞાતિનાં આધારે જ જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
ચાર પાટીદાર મંત્રીઓના પત્તાં કપાશે
સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીઓને સ્થાન આપવા જઈ રહી છે ત્યારે ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવી માહિતી સામે આવી રહી છે.
નીતિન પટેલની મંત્રીમંડળમાંથી વિદાય!
રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને સ્પીકર બનાવાઇ શકાય છે : સૂત્ર
નીતિન પટેલ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ગુજરાત સરકારમાં ખૂબ દિગ્ગજ અને સિનિયર મંત્રી માનવામાં આવે છે ત્યારે હવે તેમને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ દિગ્ગજ નેતાઓને મંત્રી બનાવાય તેવી શક્યતા : સૂત્ર
મંત્રીમંડળમાં જે જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે તેમાં રાજેન્દ્ર ત્રિવેદી, કિરિટસિંહ રાણા, જીતુ વાઘાણી, નીમાબેન આચાર્ય, આત્મારામ પરમાર, પંકજ દેસાઇ, આર.સી મકવાણા, જે.વી કાકડિયા, બ્રિજેશ મેરજા, શશિકાંત પંડ્યા, જીતુ ચૌધરી, મોહન ઢોડિયા, હર્ષ સંઘવી તથા કિર્તિસિંહ વાઘેલાનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય ગજેન્દ્રસિંહ પરમાર અને રાકેશ શાહને પણ મંત્રીપદ આપવામાં આવી શકે છે.