ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં જતીને પડકારતી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના વધતા પોઝિટિવ કેસોની ચિંતા વચ્ચે સરકાર માટે હાઇકોર્ટનો આ ચુકાદો રાહત આપે છે કે મુશ્કેલીમાં વધારો તે હવે જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી.
જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી.
શું છે મામલો
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.