ભાવનગર મહાનગરપાલિકામાં 2 વર્ષ અગાઉ જેનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે નારી ગામમાં ઉનાળાના દિવસો આવતા સાથે જ પીવાના પાણીની ગંભીર કટોકટી ઉભી થઇ છે. મનપા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પણ અશુદ્ધ હોવાથી લોકોમાં રોગચાળો થાય તેવી ભીતિ આ વિસ્તારના લોકોએ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વધારવા સરકારે આસપાસના 5 ગામોને ભાવનગર મનપામાં ભેળવવા જાહેરાત કરી હતી. તે મુજબ નારી ગામને પણ ભેળવવામાં આવ્યું હતું. અહીં 17 હજારથી વધુ લોકોની વસ્તી છે અને મોટાભાગના લોકો હીરાનો વ્યવસાય તેમજ પછાત વિસ્તારના લોકો છે.
જે મજૂરી કામ સાથે જોડાયેલા છે અહીં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. પરંતુ મનપામાં સમાવેશ થયા બાદ પાણી નિયમિત અને શુદ્ધ મળશે તેવી આશા લોકો ને હતી પણ તે આશા ઠગારી નીવડી છે અહીં આવેલા બંને તળાવ ખાલી છે અને પીવાના પાણી માટે કોઈ અન્ય સ્રોત નથી.
ભાવનગરથી આમ તો 15 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે અને જો તંત્ર ધારે તો અહીં નવી લાઈન નાખી ને તેમજ ફિલટર પ્લાન્ટ બનાવીને લોકો ને પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને સારું પાણી આપી શકે તેમ છે પરંતુ અહીં ધ્યાન દેવામાં આવતું નથી. અહીં લોકોના ઘરે પૂરતું પાણી ન આવતું હોવાથી જાહેર અવેડા પર મહિલાઓને કપડાં ધોવા જવું પડે છે. તેમાં પણ પાણી પૂરતું ન મળે તો ઝઘડાઓ પણ થાય છે.
ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ અહીંથી લોકો તમામ પ્રકારના ટેક્સ ભરે છે પણ સુવિધાનો અભાવ છે. જો કે મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારીનું કહેવું છે કે અહીં ટૂંક સમયમાં 5 કરોડના ખર્ચે નવો ફિલ્ટર પ્લાન્ટ મનપા બનાવમાં આવશે. તેના માટે ટેન્ડરિંગનું કામ હાલ ચાલુ છે.એક તરફ સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે ત્યારે આ નારી ગામના કહી રહ્યાં છે આ પાણી લાવે ટેન્શન તાણી. લોકો ઈચ્છી રહ્યાં છે કે આ ગામ પ્રત્યે મનપા ઓરમાયું વર્તન ન દાખવે.