વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટના કેપ્ટન પદેથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. ટી-20 ની કેપ્ટનશીપ છોડવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.
ટી20ના કેપ્ટન પદેથી ખસી જવાની કોહલીની જાહેરાત
કેપ્ટનશીપ છોડવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર
કોહલી પર કામનું ખૂબ દબાણ
વિરાટ કોહલીએ ટીમ ઈન્ડીયાની T-20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. કોહલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ બાદ તે T-20ની કેપ્ટનશીપ છોડી દેશે. જોકે કોહલીએ સ્પસ્ટ કર્યું છે કે તે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમની આગેવાની ચાલુ રાખશે.
સાથી ખેલાડીઓની સલાહ બાદ આ નિર્ણય લીધો
કોહલીએ કહ્યું કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સહિત સાથી ખેલાડીઓની સલાહ બાદ આ નિર્ણય લીધો છે. કોહીલેએ કહ્યું કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને મારા નિર્ણયની જાણ કરી દીધી છે.
(1) રોહિતનું દમદાર પ્રદર્શન
છેલ્લા થોડા વર્ષોમાં રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવ્યું છે. પોતાના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં રોહિતે મુંબઈ ઈન્ડીયન્સને સતત બે ખિતાબ અપાવવાની સાથે કુલ પાંચ ખિતાબ અપાવ્યાં છે અને રોહિતનો આ રેકોર્ડ વિરાટ પર ભારે પડ્યો. અને ટીમના પસંદગીકારોની વચ્ચે ચર્ચા ચાલી હતી કે રોહિત જેવા શાનદાર ખેલાડીને પણ કેપ્ટનશીપની તક આપવી જોઈએ અને રોહિતની ઉંમર પણ એક બાબત છે જેની પર જેટલો બને તેટલો વહેલો નિર્ણય લેવો જરુરી હતો.
(2) એક પણ ICC એવોર્ડ ન મળ્યો
છેલ્લા ઘણા વર્ષથી ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે ઘણી મહત્વની સીરિઝ પોતાને નામે કરી છે પરંતુ ભારતને તેની કેપ્ટનશીપમાં વ્હાઈટ બોલના ફોર્મેટમાં કોઈ આઈસીસી ખિતાબ સાંપડ્યો નથી. કોહલી પર આ મુદ્દે સતત દબાણ હતું અને સવાલ પણ ઉઠવા લાગ્યા હતા. વિરાટના નિર્ણય પાછળ પણ આ બાબત રહી છે. જોકે થોડા દિવસ બાદ શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ જીતીને પહેલો આઈસીસી ખિતાબ હાંસલ કરવાની વિરાટ પાસે તક છે.
(3) બેટિંગ પર પડી રહી છે અસર
છેલ્લા લગભગ બે વર્ષમાં વિરાટની બેટિંગ કથળી છે, તેની બેટિંગ પહેલા જેવી રહી નથી. 2019 પછી કોહલીએ ટેસ્ટમાં કોઈ સદી ફટકારી નથી તે વાતથી તેની બેટિંગ કેવી છે તે સમજી શકાય છે. વધારે કામના દબાણને કારણે કોહલીની બેટિંગ પર અસર થવા લાગી છે અને કોહલીએ ખુદ લેટરમાં તેનો સ્વીકાર પણ કર્યો છે.