ઉત્તરપ્રદેશના બાહુબલી અને પૂર્વ સાંસદ અતીક અહેમદને આજે સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આજે સવારે ભારે સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે તેને વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી એક બેન્ચે સીબીઆઇને અતીક અહેમદ અને તેના સહયોગીની વિરુદ્ધમાં તપાસના આદેશ આપ્યા હતા, જેમાં તેને અમદાવાદની જેલમાં ખસેડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. રિયલ એસ્ટેટ ડીલર મોહસીન જયસ્વાલના કથિત અપહરણ અને અત્યાચારના મામલે અતીક અહેમદની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશની જેલમાં અતીક અહેમદનો દબદબો હોવાથી તે તેની મનમાની ચલાવતો હોવાનું સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યું હતું. અતિક અહેમદ પહેલાં પ્રયાગરાજની નૈની જેલમાં હતો. ત્યાર બાદ આજે તેને અમદાવાદ જેલમાં લાવવામાં આવ્યો છે. અતીક અહેમદને હાઇ સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવશે તેવું જેલનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.