ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે શનિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલી 18 વર્ષ સુધી ગુજરાતથી સાસંદ રહ્યા અને ગુજરાતના વેવાઈ પણ રહ્યાં. આ સિવાય જેટલીનો ગુજરાતના 187 વેપારીઓ સાથે અતૂટ નાતો હતો. જેટલી 1996માં અમદાવાદનાં 187 વેપારીઓના પોલ્યુશનના કેસમાં વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડ્યાં હતાં.
જ્યારે કેન્દ્રીય પોલ્યુશન બોર્ડે અમદાવાદના ઓઢવમાં આવેલી 187 ઈન્ડસ્ટ્રીઝને વધુ પોલ્યુશન કરવાના કેસમાં સીલ કરી હતી ત્યારે ખૂબ મોટી રાજકીય હિલચાલ પણ થઈ હતી. આ કેસ એટલો મોટી રીતે ગાજ્યો કે માત્ર હાઈકોર્ટ જ આ કેસમાં સુનાવણી કરવા તૈયાર હતી. આ કેસમાં ઓઢવ ઈન્ડસ્ટ્રીઝની તમામ 187 ઈન્ડસ્ટ્રીઝને વધુ પોલ્યુશન કરવાના મુદ્દે સીલ કરવામાં આવી હતી.
આ કેસ એટલો હાઈપ્રોફાઈલ બન્યો કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસોશિયને મોટા વકીલો એવા અરૂણ જેટલી અને અભિષેક મનુ સંઘવીને આ કેસ લડવા માટે ગુજરાત બોલાવવા પડ્યાં. 1996માં ગુજરાત હાઈકોર્ટના કોર્ટ રૂમ નંબર 1માં જેટલી આ કેસ લડ્યા હતા અને જીત્યા પણ હતા. જેટલીની લડત બાદ 187 ઈન્ડસ્ટ્રીઝ શરૂ થઈ ગઈ હતી ઉપરાંત GPSBએ નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા.