ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજયમાં સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં હવે કૉર્પોરેશન દ્વારા દરરોજ આપવામાં આવતી કોરોના દર્દીઓની યાદી અચાનક જ બંધ કરી દેવામાં આવી છે, આટલું જ નહીં સવાર-સાંજ આપવામાં આવતી પ્રેસ રિલીઝમાં પણ ચેડા કર્યા હોવાનો આરોપ છે જેમાં કૉર્પોરેશન દ્વારા ટેસ્ટિંગના આંકડાંઓ આપવામાં આવતા તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ દ્વારા રાજયમાં ટેસ્ટિંગમાં ઉત્તરોતર ઘટાડા મુદ્દે સવાલ ઉભા કર્યા તે દિવસથી જ યાદી બંધ થઇ જતા સરકાર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ 9 હજારને નજીક પહોંચી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદ ટોચના સ્થાને છે ત્યારે નાગરિકોને આસપાસનાં કોરોના પોઝિટિવ કેસની જાણકારી મળી રહે તે માટે કૉર્પોરેશન દ્વારા આધિકારિક રીતે યાદી જાહેર કરવામાં આવતી હતી. કૉર્પોરેશન દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી યાદી મીડિયાને પણ આપવામાં આવતી હતી. જોકે હવે AMC દ્વારા આપવામાં આવતી આ યાદી આપવાની બંધ કરી દેવામાં આવી છે. 16મી મેનાં દિવસથી જ કૉર્પોરેશને આ યાદી આપવાની બંધ કરી દીધી છે. AMC એ આવો નિર્ણય કેમ લીધો છે તેના પર કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિજય નેહરાએ યાદી આપવાની શરૂઆત કરી હતી
નોંધનીય છે કે વિજય નેહરા જ્યારે અમદાવાદના મ્યુ.કમિશનર હતા ત્યારે અમદાવાદમાં સામે આવતા કોરોના પોઝિટિવ કેસના દર્દીઓની નામ અને સરનામાં સહીત યાદી આપવામાં આવતી હતી. વિજય નેહરાનાં કૉરોન્ટાઈન થયા બાદ થી આ યાદી આવવાની બંધ થઇ ગઈ હતી, જોકે થોડા દિવસમાં કૉર્પોરેશન દ્વારા ફરીથી યાદી આપવામાં આવી પરંતુ તેમાં નામનો ઉલ્લેખ કરવામાં આવતો ન હતો. વિજય નેહરાનાં કમિશનરકાળ દરમિયાન દરરોજ સાંજે આ યાદી આપી દેવામાં આવતી હતી પરંતુ 16મી મેના રોજથી જ અચાનક જ આ યાદી આવવાની બંધ થઇ ગઈ.
માન. શ્રી અહેમદભાઇ પટેલ, ગુજરાતમાં પુરતા ટેસ્ટ કરવામાં આવે જ છે. અમદાવાદમાં પણ વ્યાપક ટેસ્ટ કર્યા છે. નીચે મુજબનો ચાર્ટ આપ જોઇ લેશો. છેલ્લા 1 અઠવાડીયાથી અમદાવાદમાં સુપર સ્પ્રેડર જેને કારણે કોરોના ફેલાયો હતો તેવા 33500 સુપર સ્પ્રેડરનું અમદાવાદ કોર્પોરેશને સ્ક્રીનીંગ કર્યું. https://t.co/YhxZ28mhA5pic.twitter.com/FSdtAuEdUf
નોંધનીય છે કે 16મી મેના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં આવતા સતત ઘટાડા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ સીએમ વિજય રૂપાણી અને અહેમદ પટેલ વચ્ચે ટ્વીટર વોર છેડાઈ ગયું હતું. આંકડાંઓની રમતમાં પટેલ અને રૂપાણીએ એકબીજા પર ખૂબ હુમલાઓ કર્યા. કોંગ્રેસે આંકડાંઓ સાથે દાવો કર્યો કે ગુજરાતમાં ટેસ્ટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે જ દિવસે સીએમ અને AMC કમિશનર વચ્ચે વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી બેઠક થઇ હતી. અને તે જ દિવસથી આ યાદી આવવાની પણ બંધ થઇ ગઈ તેવું માનવામાં આવી રહ્યું છે.
હવે પ્રેસ રીલીઝમાં મર્યાદિત માહિતી
વિજય નેહરાના કાર્યકાળ દરમિયાન AMC દ્વારા દરરોજ સવાર સાંજ એક પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવતી હતી, એક સવારે અને એક સાંજે. કુલ ત્રણ પેજની આ પ્રેસ રીલીઝમાં બીજા પેજ પર શહેરમાં સાજા થયેલા કોરોના દર્દી અને લેબ ટેસ્ટની સંખ્યાના આંકડાં આપવામાં આવતા હતાં. હવે આ આંકડાંઓના કારણે જો કોઈ પણ વ્યક્તિ દરરોજ ધ્યાન રાખે તો ખૂબ સરળતા ટેસ્ટિંગની સંખ્યા ગણી શકે છે અને આંકડાંઓની સરખામણી પણ કરી શકે. આ સિવાય આ પ્રેસ રીલીઝમાં કેટેગરી મુજબ પોઝિટિવ કેસ, એક્ટિવ કેસ, હોસ્પિટલ સુવિધાની માહિતી પણ આપવામાં આવતી હતી. જે હવે માત્ર એક પેજમાં ટૂંકાવીને મર્યાદિત માહિતી સાથે આપવામાં આવે છે.
ટેસ્ટિંગના આંકડાંઓ AMC છુપાઈ રહ્યા હોવાની ચર્ચા
17મી મેના રોજ આ પ્રેસ રીલીઝ પણ આપવામાં ન આવી. અને 18મી મેના રોજ જે યાદી આપવામાં આવી તેમાં ટેસ્ટિંગ ડેટા, સર્વિલાંસ ડેટા સહીત કોઈ પણ માહિતી મીડિયાને આપવામાં આવી નહીં. આટલું જ નહીં અમદાવાદા મ્યુ.કૉ.ની વેબસાઈટ પર પણ હવે આ ટેસ્ટની કોઈ જ જાણકારી આપવામાં આવતી નથી. વેબસાઈટ વર્તમાનમાં 16મી મેના રોજ અપડેટ કરવામાં આવેલ આંકડાંઓ જ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ચર્ચાનો માહોલ બન્યો છે કે શું AMC ટેસ્ટિંગ અને અન્ય માહિતી જે ડિટેલમાં મળતી હતી તે ન આપીને દાળમાં કંઈક કાળું હોય તેવું લાગી રહ્યું છે.