રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં નવરાત્રીના નવેય દિવસ અંબાજી મંદિરને ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ ત્રણ નોરતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને લઇને હવે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે અંબાજી વહીવટી ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભક્તોના ઘસારાને લઇ કરાયો નિર્ણય
અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો
ભક્તો માટે રાત્રે 11 વાગે સુધી ખુલ્લું રહેશે મંદિર
કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આસો નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ ભક્તોની ભીડને લઇને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એવી શક્યતાઓ સેવાઇ રહી હતી કે, અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઇ શકે છે. પરંતુ ભક્તોના ધસારાને ઘટાડવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર હવે ભક્તો માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહત્વનું છે કે, અગાઉ મંદિર 9 વાગ્યા સુધી જ ખુલ્લું રહેતું હતું.
મહત્વનું છે કે, નવરાત્રીમાં હજારો ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડતા સામાજીક અંતર જળવાયું ન હતું. કોરોના સંક્રમણની દહેશત વચ્ચે અંબાજીમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેને લઇને આજે કલેક્ટર અને મંદિરના વહીવટદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાવિકોની લાગણીને ધ્યાનમાં લઇને નવરાત્રી દરમિયાન દર્શનના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા.19 ઓક્ટોબરથી દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે.
નવરાત્રીમાં અંબાજી મંદિરમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર
દર્શન સવારે- ૭.૩૦થી ૧૧.૪૫ દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ દર્શન સાંજે- ૧૯.૦૦થી ૨૩.૦૦ અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitiple.in , ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
કોરોના મહામારી અન્વયે સરકારશ્રીની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.