છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો, H3N2 વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતાં કેન્દ્ર સરકારે 6 રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિ પર નજર રાખવા સૂચનાઓ જાહેર કરી
કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ફરી એકવાર ચિંતાનું મોજું
છેલ્લા 4 મહિના બાદ એક જ દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ
ગુરુવારે (16 માર્ચ) કોરોના વાયરસના ચેપના 754 નવા કેસ નોંધાયા
દેશમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 4,623 પર પહોંચી
કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે દેશમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારતમાં છેલ્લા 4 મહિના બાદ એક જ દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવતા હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે દેશમાં H3N2 વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 6 રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિ પર નજર રાખવા સૂચનાઓ જાહેર કરી છે.
ભારતમાં વધ્યા કોરોના કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ભારતમાં ગુરુવારે (16 માર્ચ) કોરોના વાયરસના ચેપના 754 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 4,623 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગયા વર્ષે 12 નવેમ્બરે એક જ દિવસમાં કોરોના સંક્રમણના 734 કેસ નોંધાયા હતા.
દેશના આ 6 રાજ્યોમાં એલર્ટ જાહેર
કોરોના કેસોમાં સતત વધારો જોઈ કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસ, દેખરેખ અને નિવારણ માટેના પગલાં અંગે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
શું કહ્યું કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ?
સમગ્ર મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહમાં ચેપના કેસ 355 થી વધીને 668 થઈ ગયા છે. ગુજરાતમાં કોવિડ-19 કેસ 105 થી વધીને 279, તેલંગાણામાં 132 થી વધીને 267, તમિલનાડુમાં 170 થી વધીને 258 અને કેરળમાં 434 થી વધીને 579 થયા છે. આ સાથે કર્ણાટકમાં ચેપના કેસ 493 થી વધીને 604 થઈ ગયા છે. ભૂષણે કહ્યું કે, રાજ્ય સરકારોએ ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, કોવિડ યોગ્ય વર્તણૂક, પાંચ ગણી વ્યૂહરચના હેઠળ રસીકરણની વ્યૂહરચનાનું પાલન કરવું જોઈએ.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો
મહારાષ્ટ્ર પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના અત્યાર સુધીની તમામ લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે. વાત જાણે એમ છે કે, વિદેશથી આવતી મોટાભાગની ફ્લાઇટ્સ મહારાષ્ટ્રમાં જ ઉતરે છે. તેમાંથી ગલ્ફ દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ સૌથી વધુ છે. આ પછી દિલ્હીનો નંબર આવે છે. જેના આધારે કહી શકાય કે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો કોરોનાના નવા પ્રકારને ફેલાવવામાં સૌથી આગળ રહ્યા છે.
કોરોના સામેની લડાઈમાં દેખરેખ જરૂરી
6 રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું છે કે, કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. જે સૂચવે છે કે, ચેપનો સંભવિત સ્થાનિક ફેલાવો છે અને તેને ટાળવા માટે જોખમ મૂલ્યાંકન આધારિત અભિગમ અપનાવવો જોઈએ. 8 માર્ચ સુધી એક સપ્તાહમાં કોવિડ-19ના કુલ 2,082 કેસ નોંધાયા હતા અને 15 માર્ચ સુધીમાં આ કેસ વધીને 3,264 થઈ ગયા હતા.
કોવિડ-19 સામે લડવા માટે સૂચનાઓ
કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જીનોમ સિક્વન્સિંગ, સેમ્પલ કલેક્શન અને કોરોના વાયરસના કેસનું સ્થાનિક મોનિટરિંગ કરવા અને ભીડવાળા સ્થળોએ કોવિડને અનુકૂળ વર્તનને અનુસરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ -19 ના પ્રકારો, ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોથી સંબંધિત કેસ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, કર્ણાટકમાં સંક્રમણને કારણે એક દર્દીનું મોત પણ થયું છે, જેના કારણે કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 5,30,790 થઈ ગયો છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,57,297 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તે જ સમયે, કોવિડ-19ને કારણે મૃત્યુનો દર માત્ર 1.19 ટકા છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.