સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટેના ઈજેકશન બદલાઈ જાય. ઓપરેશન કરવા માટેના અંગો બદલાઈ જાય અને ક્યારેક નવજાત શિશુ પણ બદલાઈ જાય તેવાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે હવે સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી છતી કરતો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. વીએસ હોસ્પિટલનાં વ્યવસ્થાતંત્રની બેદરકારીનાં કારણે બે મહિલા દર્દીઓનાં મૃતદેહોની અરસ-પરસ બદલી થઈ ગઈ અને ઘોર ખોદીની હોસ્પિટલ સત્તાવાળાની બેદરકારીનાં બહાર કાઢવી પડે તેવી ફજેતી પણ થઈ ગઈ.
અમદાવાદની અદ્યતન અને નવલા રંગરૂપ ધારણ કરેલી વીએસ હોસ્પિટલ ઘોર બેદરકારીનાં કારણે ફરી એક વખત ફજેતીનાં ફાળકે ચડી છે. કેમકે હોસ્પિટલનાં વ્યવસ્થા તંત્ર દ્વારા એક મહિલા દર્દીનો મૃતદેહ કોઈ બીજા જ વાલી-વારસોને સોંપી દેવામાં આવ્યો જ્યારે અસલ વારસદારો પોતાની સ્વજનનો મૃતદેહ લેવા ગયા ત્યારે આખો મામલો સામે આવ્યો. ગઈ કાલે વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની નસરીન બાનુ નામની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલ જાદવનો મૃતદેહ પણ વી.એસ હોસ્પિટલમાં હતો.
સરકારે પણ મિત્તલ જાદવ હત્યા કેસમાં સહાયનો ધોધ વરસાવી પરિવારજનોને શાંત કરી દીધાં હતાં. મિત્તલનાં પરિવારને તેની પુત્રીનાં અંતિમ સંસ્કાર માટે વી.એસ હોસ્પિટલ વાળાઓએ એક મૃતદેહ સોંપ્યો. ઉતાવળમાં કહો કે બેદરકારીમાં કહો મિત્તલનો પરિવાર એ મૃતદેહ લઈ ગયો અને સમાજનાં રિતરિવાજ મુજબ વતન ધોલેરામાં તેને દફન કરીને વિધિ પૂર્ણ કરી દીધી. પરંતુ મિત્તલનાં પરિવારને એ ખબર ન રહી કે તેમણે જે પોતાની દીકરી સમજીને જેને દફન કરી છે તે પોતાની પુત્રી નહીં પરંતુ કોઈ મુસ્લીમ બાનુનો મૃતદેહ છે.
આ વાત આમ તો ત્યાં જ ધરબાઈ ગઈ હોત. પરંતુ નસરીનનાં આત્માને આ રીતે દફન થવું મંજૂર ન હતું અને આ તરફ તેનાં પરિવારજનો હોસ્પિટલમાં નસરીનનો મૃતદેહ લેવા ગયાં. પરંતુ ત્યાં તેમને નસરીનનો મૃતદેહ ન મળ્યો. કેમ કે તે તો કોઈ જુદી જ ભૂમિ પર દફન હતી અને અહીં વીએસ હોસ્પિટલનાં શબઘરમાં મિત્તલનો આત્મા અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યો હતો.
નસરીનનાં પરિવારજનોએ જ્યારે હોસ્પિટલમાં નસરીનનાં મૃતદેહની માંગ કરી ત્યારે વી.એસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી અને વી.એસનાં સત્તાવાળા બચાવ મુદ્રામાં આવી ગયાં. હોસ્પિટલમાં પરિવારજનોએ સ્વજનનો મૃતદેહ મેળવવા માટે હોબાળો મચાવી દીધો. સતાવાળાઓ સાથે શબ માટે સંઘર્ષ કરવો પડ્યો. આ પરિવારજનોનો આક્રોશ શાંત પાડવા માટે AMCનાં સત્તાવાળાઓ અને વી.એસ હોસ્પિટલનાં સત્તાધીશોએ મંથન કરવા તાકીદે બેઠક બોલાવવી પડી અને ભૂલ પણ સ્વીકારવી પડી.
નસરીન બાનુનો મૃતદેહ હવે કોઈપણ સંજોગોમાં તેનાં પરિવારજનોને આપવો જ પડે તેવું દબાણ હોસ્પિટલનાં સત્તાવાળાઓ પર અને એએમસીનાં સત્તાધીશો પર બનતું જતું હતું. એટલે ધોલેરાની સ્મશાનભૂમિમાં દફન થયેલો નસરીનાં મૃતદેહ ફરી વાર ઘોરમાં થઈ બહાર કાઢવાની ફરજ પડી. અધિકારીઓની હાજરીમાં નસરીનો મૃતદેહ બહાર કાઢવો પડયો. બેદરકારીની ફજેતીમાં હોસ્પિટલ તંત્ર અને સરકાર માટે સાંત્વનારૂપ વાત એટલી રહી કે નસરીનનાં મૃતદેહનાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ન હોતાં. એટલે હોસ્પિટલ તંત્ર નસરીનનો મૃતદેહ પરત કરી શક્યું. જો અગ્નિસંસ્કાર થઈ ગયા હોત તો આ મામલાએ પરંપરાનો રંગ ધારણ કરી લીધો હોત.
હોસ્પિટલની એક બેદરકારીનાં કારણે કેટલાં લોકોએ ભોગવવું પડયું તેનો આ તાજો દાખલો છે. આખી સરકારી મશીનરી જ નહી પરંતુ બે સમાજનો એક મોટો વર્ગ છેલ્લાં 20 કલાકથી શું થશેની દહેશતમાં જીવવા મજબૂર બન્યો. મૃતદેહ બદલાઈ જવા સુધીની બેદરકારી નાના કર્મચારીની હોય કે મોટા કર્મચારીની પરંતુ બેદરકારી મોટી છે અને અને અંતે આંગળી તો સમગ્ર હોસ્પિટલ તંત્ર સામે જ ચીંધાવાની છે. આવી ઘટનામાંથી હોસ્પિટલોનું વ્યવસ્થા તંત્ર ધડો લે તો મોટી મુસીબતોથી બચી જવાશે.