અમદાવાદના વટવા GIDCના ફેઝ-2માં આવેલી માતંગી ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગ હતી. તેનાથી છેક ઈસનપુર સુધીના લોકો ભયભીત બન્યા હતા. જોકે આઘાતજનક બાબત એ છે કે વટવા GIDC ફેઝ-૨ વિસ્તાર કેમિકલ ઝોન હોઈ એક પ્રકારે આકસ્મિક આગના મામલે ડેન્જર વિસ્તાર છે, તેમ છતાં ત્યાં વિનાશકારી આગ પર કાબૂ મેળવવા તત્કાળ દોડી આવે તેવું એક પણ ફાયર સ્ટેશન નથી.
સ્માર્ટ સિટી અમદાવાદના શાસકો અને તંત્ર માટે શરમજનક બાબત
જશોદાનગર ફાયર સ્ટેશન પણ શોભાના ગાંઠિયા સમાન
એક્સપ્રેસ હાઈવે, રામોલ, હાથીજણ, વિંઝોલ વગેરે 30થી 40 કિમીનો વિસ્તાર રામભરોસે
ઈસનપુરમાં આ બંધ ફેક્ટરીમાં રાખેલાં સોલ્વન્ટનાં ડ્રમમાં અચાનક ધડાકા સાથે વિનાશક આગની ઝપટમાં જગસન ફેક્ટરી સહિતની કુલ ચાર ફેક્ટરી, એક ખાનગી ટ્રક, અડધો ડઝન વાહન, 20 ઝૂંપડાં વગેરે આવી જવાથી મ્યુનિ. તંત્રને ફાયરબ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. જોકે વટવાના અગ્નિકાંડથી આ વિસ્તારમાં રહેતા લાખો નાગરિકોમાં ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તે કેમિકલની ફેક્ટરીમાં આવી દુર્ઘટના થવાનો ફફડાટ ફેલાયો છે.
વટવા GIDCના ચાર ફેઝ પૈકી ફેઝ-૨માં કેમિકલ ઝોન ઉપરાંત સંખ્યાબંધ લોકોનાં રહેણાક છે. વટવાની આગમાં હોમાયેલી તમામ ફેક્ટરીને અત્યારે ભલે અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાઈ છે, પરંતુ આનાથી કોઈ કાયમી ઉકેલ આવવાનો નથી. આગનું સંકટ તો તોળાયેલું જ રહેવાનું છે. ઉપરાંત ગેરકાયદે બાંધકામના રાફડેરાફડા ફાટી નીકળ્યા હોઈ આગનું જોખમ સતત વધ્યું છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદનાં ગાણાં ગાતાં શાસકો અને મ્યુનિ. તંત્ર માટે વટવા ફેઝ-2માં એક પણ ફાયર સ્ટેશન ન હોવું તે ખરેખર શરમજનક બાબત છે.
ગઈ કાલની ઘટનામાં તંત્ર દ્વારા પહેલા મણિનગર ફાયર સ્ટેશન અને અસલાલી ફાયર સ્ટેશનથી ફાયરની ગાડી દોડાવાઈ હતી, જ્યારે નજીકનું જશોદાનગર ફાયર સ્ટેશન તો માત્ર કહેવા પૂરતું ફાયર સ્ટેશન છે. વટવા વિસ્તારમાં પ્રચંડ આગ ફાટી નીકળે તો શોભાના ગાંઠિયા સમાન બનેલા જશોદાનગર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની માત્ર ચાર ગાડીની મદદ મળી શકે તેમ છે.
જશોદાનગર ફાયર સ્ટેશન 20 વર્ષ પહેલાં બંધાયું હતું. તે વખતે સત્તાવાળાઓ ખાસ ગંભીર નહોતા, કેમ કે આ ફાયર સ્ટેશનમાં ફક્ત ચાર ગાડી અને સ્ટાફ માટે માત્ર પાંચ ક્વાર્ટર છે. એક ગાડીના સ્ટાફની જરૂર પૂરી પાડે તેવી સંખ્યામાં ક્વાર્ટર ન હોઈ સત્તાવાળાઓને આઠ-આઠ કલાકની ડ્યૂટીમાં વધારાના કર્મચારી ફરજ બજાવવા મોકલાવવા પડે છે. જશોદાનગર ફાયર સ્ટેશનને ફાયર ચોકી બનાવવા સારુ પણ 20થી 25 ક્વાર્ટર હોવાં જરૂરી છે.
અગાઉ એક્સપ્રેસ હાઈવે રહેણાક વિસ્તાર નહોતો, પરંતુ હવે હાઈવેની આસપાસ હાઈરાઇઝ ટાવર બન્યાં છે. આની સાથે વિંઝોલ, રામોલ, હાથીજણ સહિતના 30થી 40 કિ.મી.નો વિસ્તાર વટવા ફેઝ-૨માં આગના ધડાકા-ભડાકાથી અસુરક્ષિત હાલતમાં મુકાયો છે, જેના કારણે સત્તાધીશોએ નવા ફાયર સ્ટેશનની બાબતે ખાસ ગંભીર થવાની જરૂરી છે.
આ અંગે મ્યુનિ. ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, ''છેલ્લા છ મહિનાથી વટવા GIDCને આવરી લેવાય તે માટેનું ફાયર સ્ટેશન બનાવવા 12થી 15 હજાર વારના પ્લોટની તપાસ ચાલુ છે. 100 ફૂટના રોડ પર અને ત્રણે બાજુથી ખુલ્લો અને મહદઅંશે જંક્શન પર પ્લોટ હોય તો ગાડીની અવરજવર સરળતાથી થઈ શકે છે એટલે એસ્ટેટ વિભાગ પાસે આ પ્રકારના પ્લોટની લેખિતમાં રજૂઆત કરાઈ છે. ઉપરાંત જશોદાનગર ફાયર સ્ટેશનને અપગ્રેડ કરવાની પણ કામગીરી હાથ પર લેવાઈ છે.