શહેરભરમાં ઠેરઠેર રસ્તા તૂટ્યા છે, ભાગ્યે જ કોઇ વિસ્તાર એવો છે કે જ્યાં રસ્તા તૂટ્યા ન હોય. સોશિયલ મીડિયા પર લોકો ખાડાનગરીમાં ફેલાયેલા પોતાના વિસ્તારના ફોટા મૂકી તંત્રની ઠેકડી ઉડાડે છે. પરંતુ લોકોએ મૂકેલા ફોટા તંત્રને કાં તો દેખાતા નથી અથવા તો બીજા ગ્રહના હોય તેવું તંત્ર માને છે. શહેરમાં કેટલા રસ્તાો તૂટ્યાં તે અંગેની સત્તાવાળાઓ પાસે કોઇ માહિતી નથી.
કરોડોના ખર્ચે ચાલુ વર્ષે બનેલા નવા રસ્તા તૂટ્યા ન હોવાનો શાસકોનો દાવો
ઘાટલોડિયા વોર્ડમાં જ છેલ્લાં ત્રણ વર્ષમાં બનેલા ૧૧ રસ્તા તૂટી ગયા
સત્તાવાળાઓ પાસે શહેરમાં કેટલા રસ્તા તૂટ્યા તેની સંપૂર્ણ યાદી પણ નથી
જેના કારણે ઘાટલોડિયા સિવાય ક્યાંય રસ્તા તૂટ્યા હોવાની નોંધ લેવાઇ નથી. દરમ્યાન સત્તાધીશોએ ગયા વર્ષે રૂ.૪રપ કરોડના ખર્ચે બનાવાયેલા એક પણ રોડ તૂટ્યા નથી તેવો શાસકોએ તંત્રના સર્વેના આધારે દાવો કરીને દિવાળી પહેલાં જૂના તમામ રસ્તાને ચકાચક કરી દેવાશે તેવી ખાતરી આપી છે.
અમદાવાદમાં ગયા ચોમાસામાં વરસાદની ઘટના કારણે રસ્તાને ખાસ માઠી અસર પહોંચી ન હતી એટલે કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની મુઠ્ઠી બંધ રહી હતી પરંતુ આ ચોમાસામાં પડેલા વરસાદે બંધ મુઠ્ઠીને ખોલી નાખી છે.
ફક્ત શાસક ભાજપ પક્ષના ટોચના નેતા ટ્વિટર પર પોતાની ભડાશ કાઢતા નથી પરંતુ સામાન્ય નાગરિકો પણ સોશિયલ મીડિયા પર તંત્રની આબરૂના ધજાગરા કાઢી રહ્યા છે. ગયા વર્ષે રૂ.૪રપ કરોડના ખર્ચે રોડ રીસરફેસિંગના કામ કરાયા હતા. હવે જ્યારે શહેરભરમાં રસ્તાનું ધોવાણ થયું છે ત્યારે પણ શાસકો નવો એક પણ રસ્તો તૂટ્યો નથી તેવો દાવો કરે છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનનાં ઘાટલોડિયા વોર્ડના કુલ ૧૧ તૂટેલા રસ્તા પૈકી ત્રણ રસ્તાનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ (ત્રણ વર્ષની વોરન્ટી) મે-ર૦૧૯માં પૂર્ણ થઇ હતી અને તેને જે.આર. અગ્રવાલે બનાવ્યા હતા. જ્યારે બાકીના રોડની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ જૂન-ર૦માં પૂરો થાય છે અને આ રોડ આકાશ ઇન્ફ્રાકોન દ્વારા બનાવાયા છે. આ બંને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઈ છે.
ગઇ કાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ તૂટેલા રસ્તા મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી ચાર દિવસમાં તમામ ખાડાનું પુરાણ કરી પેચવર્કના કામ કરવાનો આદેશ આપ્યો હતો. શહેરના શાસકો પાસે જૂના રસ્તા કયાં અને કેટલા કિલોમીટરમાં તૂટ્યા તેની માહિતી નથી. જ્યારે મ્યુનિસિપલ તંત્ર પણ અન્ય ઝોનમાં હજુ વિગતો મેળવી તેના આધારે રોડ રિપેરિંગ કામ કરી રહ્યું છે.
દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, તંત્રના સર્વે મુજબ નવો એક પણ રોડ તૂટ્યો નથી. જોકે જે જૂના રસ્તા તૂટ્યા છે તેની કોઇ યાદી અમારી પાસે નથી અને તેવા તૂટેલા રસ્તા મામલે કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવી કે કેમ તે તંત્રનો વિષય છે.
પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે દાવો કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા એક પણ રોડ પશ્ચિમ ઝોનમાં તૂટ્યા નથી અને જ્યાં જૂના રસ્તામાં ખાડા પડ્યા છે ત્યાં તેનું રિપેરિંગ હાથ ધરાયું છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજેશ મહેતાએ એક પણ પાકો રોડ તૂટ્યો ન હોવાનો દાવો કર્યો છે.
આ ઝોનનાં એડિશનલ સિટી ઇજનેર દિનેશ બરંડા કહે છે સરખેજ-વેજલપુરમાં કાચા રસ્તાના પુરાણને નુકસાન થયું છે. આ ઉપરાંત રોડ પ્રોજેકટનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જયેશ એસ. પ્રજાપતિએ પણ પોતાના ઝોનમાં કોઇ રસ્તા તૂટ્યા નથી તેવો દાવો કર્યો છે. તેઓ કહે છે ક્યાંક જૂના રસ્તા બેસી જઇને ખાડા પડ્યા છે. આખેઆખા ડામરના થર ઉખડ્યા હોય તેવું બન્યું નથી.