અશોકભાઈએ કલરકામ કરનાર સામે રૂપિયાની લેવડદેવડ કરી હતી
પોલીસની ટીમોએ ર૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા
અમદાવાદના બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટ કેસનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં કરી દેતાં મધ્યપ્રદેશના ભીંડમાંથી બે, ગ્વાલિયરમાંથી બે અને એક આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન ભાગી આવ્યા હતા. દંપતીના ઘરે આવેલો કલરકામ કરનાર માસ્ટર માઈન્ડ નીકળ્યો છે, જેને દંપતી પાસે કેટલા રૂપિયા છે તેની માહિતી હતી.
હેબતપુરમાં અશોકભાઇ અને જ્યોત્સ્નાબહેનની થયેલી કરપીણ હત્યાના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશની ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને શોધી નાખ્યા હતા. પોલીસે લૂંટના પૈસા તેમજ જ્યોત્સ્નાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમજ બે બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અશોકભાઈએ કલરકામ કરનાર સામે રૂપિયાની લેવડદેવડ કરી હતી
સોમવારે સાંજના ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં ટીમો તેમને લઈ અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની િટપ આપી હતી. તેણે કહ્યું હતું કે તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ િટપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. અશોકભાઈએ કલરકામ કરનાર સામે રૂપિયાની લેવડદેવડ કરી હતી, જેના કારણે તેણે ચાર આરોપીઓને િટપ આપી હતી.
પોલીસની ટીમોએ ર૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા
આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ ર૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું હતું. ચારેય આરોપી અમદાવાદ છોડી બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢ્યો હતો, જે બાદ પોલીસે તેમને મધ્યપ્રદેશના ગિઝોરા ગામમાંથી ઝડપી લીધા છે.
સિક્યોરિટી ગાર્ડે અશોકભાઈના ઘરમાંથી ચાર અજાણ્યા શખ્સોને નીકળી ભાગતાં જોયા
પ્રાપ્ત વિગતો પરથી હત્યાના દિવસની ઘટના જોઇએ તો શુક્રવારે સવારે ૮.૦પ મિનિટે પાડોશીઓએ અશોકભાઈને તેમનું એક્ટિવા સાફ કરતા જોયા હતાં. ત્યારબાદ આશરે ૮.૩૦ની આસપાસ સિક્યોરિટી ગાર્ડે અશોકભાઈના ઘરમાંથી ચાર અજાણ્યા શખ્સોને નીકળી ભાગતાં જોયા હતા, જેથી તેણે પાડોશી મનીષાબહેનને જાણ કરી હતી. ત્યારબાદ ગાર્ડ તથા મનીષાબહેને બૂમો પાડવા છતાં મકાનમાંથી કોઈ બહાર ન આવતાં તેમણે ઘરમાં જઈ જોતાં અશોકભાઈનો લોહીમાં લથપથ મૃતદેહ બેડરૂમમાં પડેલો હતો, જ્યારે જ્યોત્સ્નાબહેનનો મૃતદેહ સીડીની પેસેજમાં પડ્યો હતો, જ્યારે ઉપરના રૂમના કબાટ ખુલ્લાં હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.