આજથી Unlock 2નો અમલ થઇ ચૂક્યો છે. ત્યારે અમદાવાદના રસ્તા પર ફરી એસટી બસના પૈડા દોડતા થયા છે. આજથી અમદાવાદ સહિત રાજ્યમાં 2 હજાર 325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થઇ છે. ત્યારે હવે આ કોરોનાના સંક્રમણ વચ્ચે એસ.ટી વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ ગીતા મંદિરથી સૌરાષ્ટ્રની બસો નહીં ઉપડે
રાણીપ અને નહેરૂનગરથી સૌરાષ્ટ્રની બસો ઉપડશે
સોશિયલ ડિસ્ટંસિંગને ધ્યાને રાખીને નિર્ણય કરાયો
રાજ્ય કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વચ્ચે S.T. વિભાગ મહત્વનો નિર્ણય કર્યો છે કે ગીતામંદિરથી સૌરાષ્ટ્રની બસો શરૂ કરવામાં આવશે નહીં. તો રાણીપ અને નહેરૂનગરથી સૌરાષ્ટ્રની બસો ઉપાડવામાં આવશે. સામાજિક અંતરને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ સિવાયની ગુજરાતના તમામ જિલ્લાની બસો ગીતામંદિર એસટી ડેપોથી મળી રહેશે.
મહત્વનું છે કે, આજથી અમદાવાદ સહિત રાજ્યમાં 2 હજાર 325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થઇ ચૂકી છે. જેમાં રોજના 5 લાખ મુસાફરો સવારી કરી લાભ લેશે. અત્યાર સુધી માત્ર 30 ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી પરંતું હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યભરમાં બસો દોડતી થશે. એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાય ઊભી રહેશે નહીં. જે મોટો ડેપો હશે અને જ્યાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર જ બસ રોકાશે. રાજ્યમાં અનલૉક વન બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એક્સપ્રેસ બસો દોડશે. અત્યાર સુધી બે લાખ 75 હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા પરંતુ એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.
મહત્વનું છે કે એક્સપ્રેસ બસ સેવા ગુજરાત પૂરતી જ રહેશે અન્ય કોઈ રાજ્યમાં જશે નહીં. એક્સપ્રેસ માટે અત્યારથી જ ઓનલાઇન બુકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે તમામ બસ સ્ટેશન ઉપર સેનેટરાઈઝ તેમજ ટેમ્પરેચર માપન ગનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની તમામ ગાઇડલાઇનનું પણ પાલન કરવામાં આવશે.