અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે અને ગંદા પાણી અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશન દાવા સામે VTVએ રિયાલીટી ચેક કર્યું, જેમાં AMC કમિશનર વિજય નેહરાના દાવાની પોલ ખુલી ગઈ છે. જ્યારે દૂષિત સાબરમતી નદીને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી અને GPCB, ભાજપના નેતાઓ અને મંત્રીઓ પર આરોપ લગાવ્યા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, GPCBમાં ભ્રષ્ટાચાર ખદબદે છે અને નેતાઓ અને મંત્રીઓ મલાઇ ખાય છે. ભ્રષ્ટાચારના કારણે કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ગુજરાતની તમામ નદીઓ દૂષિત છે છતા જવાબદારોને કોઇ દંડ નથી થતો.
તમને જણાવી દઇએ કે, એક તરફ સાબરમતી નદીની સફાઈની ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ AMC આંખ આડા કાન કરી રહ્યું છે. હજુ પણ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે AMCની આ બેવડી નીતિથી જનતામાં રોષ ફેલાયો છે.
ત્યારે સવાલ એ છે કે શું આવી રીતે સાબરમતીનું શુદ્ધિકરણ થશે? શું માત્ર રિવફ્રન્ટ વિસ્તારને સાફ કરવાથી સાબરમતી નદીનું શુદ્ધિકરણ થશે? સમગ્ર ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે શુદ્ધિકરણ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ છે. ત્યારે પ્રદુષિત પાણી છોડતા એકમો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું. જોકે સફાઈ કર્યા બાદ પણ ગંદુ પાણી નહીં છોડાય તેની કોઈ બાંહેધરી AMC દ્વારા આપવામાં આવશે કે કેમ?