આગામી બીજી સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રીજીની મૂર્તિ બનાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પર્યાવરણપ્રેમીઓ પૂજનની સાથે સાથે પાણીને શુદ્ધ કરતી ફટકડીના શ્રીજી તરફ વળ્યા છે. આ વર્ષે અંદાજે ૭૦૦થી વધુ ફટકડીના શ્રીજીનું સ્થાપન અમદાવાદીઓના ઘરે થશે.
ફટકડીમાં પાણીને શુદ્ધ કરવાનો ગુણ છે. ફટકડીને ઓગાળીને બીબાંમાં ઢાળવામાં આવતાં તે જે તે આકાર ધારણ કરે છે. આ ફટકડીને ઓગાળીને શ્રીજીનાં બીબાંમાં ઢાળવામાં આવે છે. ત્યાર બાદ તેને હર્બલ કલરથી સુશોભિત અને અલંકૃત કરવામાં આવે છે. આ મૂર્તિ માટીની મૂર્તિ કરતાં પણ વધુ મોંઘી બને છે પરંતુ ફટકડીની મૂર્તિનું લોકો ઘરની પાણીની ટાંકીમાં જ વિસર્જન કરે છે. જેથી પાણી શુદ્ધ બની જાય છે. આમ પૂજન સાથે શુદ્ધતાનો હેતુ પણ સરે છે.
માટીની મૂર્તિનું સ્થાપન કરવાનું ચલણ હવે વધ્યું છે. જેના ભાવ ઈંચ પ્રમાણે હોય છે. જેની કિંમત રૂ.૧૦૦થી શરૂ કરીને ૪૦૦૦ સુધીની રહે છે. ઉપરાંત વસ્ત્રો અને અલંકારો પ્રમાણે પણ તેનો ભાવ નક્કી થાય છે. જ્યારે ફટકડીની મૂર્તિનો ભાવ ૧ ઈંચના રૂ.૨૦૦થી શરૂ થાય છે. વધુમાં વધુ નવ ઈંચની મૂર્તિ હાલમાં બજારમાં ઉપલબ્ધ થઈ રહી છે. જોકે મોટા ભાગે તેનો ઓર્ડર આપવો પડે છે. એક મૂર્તિને બીબાંમાં ઢાળીને તૈયાર થતાં ચાર કલાક લાગે છે. દગડુ શેઠ અને બાળ સ્વરૂપ શ્રીજીની મૂર્તિની માગ સૌથી વધારે રહે છે.
રાજ્ય સરકાર દ્વારા માટીનાં, નાળિયેરનાં છૂંછાં સહિતની ચીજવસ્તુઓ સાથેના ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનાં વેચાણ માટે શહેરમાં આયોજન કરવામાં આવે છે. આ અંગે ઈન્ડેક્સ-સી વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ફટકડીના ગણેશજી બનાવી વેચાણ અર્થે પ્રમોશન માટે અમે કારીગરોને પણ વેચાણ માટે સ્ટોલ ફાળવવા પ્રયાસ કરીશું.