દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદને પગલે આજે જગત મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી.
દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવાઇ
અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવાઇ
મંદિર શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે
હવામાન વિભાગની આગાહીને પગલે આજે દ્વારકા પંથકને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. દ્વારકા જિલ્લામાં વીજળીના કડકા ભડાકા અને તોફાની પવન સાથે સમગ્ર પંથકમાં સચરાચર મેઘ મહેર જોવા મળી હતી. તેવામાં ભારે વરસાદને લઈને જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. નોંધનિય છે કે, મંદિર શિખર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ આજે અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. તંત્રની સલાહને લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવામાં આવી છે.
દ્વારકાધીશ મંદિર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે
દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પછાળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.
દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા જ ધજા ચડાવવામાં આવે છે
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનિય છે કે નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.