આગામી વર્લ્ડ કપ 30 મેથી શરૂ થશે. આ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ-વેલ્સમાં 46 દિવસ સુધી રમાશે. આ મહામેચમાં 10 દમદાર ટીમ ભાગ લેશે. આ દરમિયાન 11 અલગ-અલગ જગ્યાઓ પર 48 મેચ રમાશે.
કુલદીપ યાદવ (ભારત):
વિશ્વકપ જીતવા માટે આ ચાઇનામેન બોલર ભારત માટે બહુ જ મહત્ત્વનો છે. ભારતે જ્યારે છેલ્લે 2018માં ઈંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો હતો ત્યારે કુલદીપે અંગ્રેજ બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા અને ત્રણ મેચની શ્રેણીમાં નવ વિકેટ ઝડપી હતી. એ શ્રેણી ભારતે 2-1થી પોતાના નામે કરી હતી. કુલદીપ અત્યાર સુધીમાં કુલ 44 વન ડે રમ્યો છે, જેમાં તેણે 85 વિકેટ ઝડપી છે. જોકે હાલના સમયમાં તે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. IPLની નવ મેચમાં તે માત્ર ચાર જ વિકેટ ઝડપી શક્યો હતો. KKR તરફથી રમતા તેણે ખાસ્સા રન લૂંટાવ્યા હતા. આમ છતાં તે વિરાટ સેનાનો મહત્ત્વપૂર્ણ સૈનિક છે.
રાશિદ ખાન (અફઘાનિસ્તાન):
આ લેગ સ્પિનરે છેલ્લા થોડા મહિનામાં પોતાની રમતમાં ગજબનાક સુધારો કર્યો છે. રાશિદ હાલ વન ડે રેન્કિંગમાં નંબર ત્રણ પર છે. તે બે વર્ષથી સતત શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે અને અફઘાનિસ્તાને હાંસલ કરેલી સફળતામાં તેનો મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો છે. રાશિદની રન રોકવાની સાથે વિકેટ ઝડપવાની ક્ષમતાને તેને વધુ ખતરનાક બનાવે છે. વિશ્વકપમાં રાશિદ નિશ્ચિત રીતે ઘણા બેટ્સમેનો માટે માથાનો દુખાવો સાબિત થશે. આઇપીએલની છેલ્લી સિઝનમાં રાશિદે 15 મેચમાં 17 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા):
લિયોન ઓસ્ટ્રેલિયાની ટીમનો મહત્ત્વપૂર્ણ બોલર છે. તેણે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયાને ઘણી ટેસ્ટ મેચ જીતાડી છે. જોકે તે વન ડે મેચ બહુ રમ્યો નથી. તેના ખાતામાં ફક્ત 25 વન ડે મેચ નોંધાયેલી છે. ટેસ્ટ ક્રિકેટનો તેનો અનુભવ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ઘણો કામ લાગી શકે છે. નાથન લિયોનનો આ પ્રથમ વર્લ્ડકપ છે. તેનામાં રહેલી બોલને ટર્ન અને બાઉન્સ કરાવવાની ક્ષમતા બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી શકે છે.
ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા):
પોતાનો અંતિમ વિશ્વકપ રમી રહેલો ઇમરાન તાહિર શાનદાર પ્રદર્શન કરીને પોતાના દેશને પ્રથમ વિશ્વકપ અપાવવા માટે ઉત્સુક છે. આ લેગ સ્પિનર હંમેશાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પ્રથમ પસંદ રહ્યો છે, જ્યારે પણ ફાફને વિકેટની જરૂર હોય છે ત્યારે તે તાહિરને બોલ સોંપી દે છે. 41 વર્ષનો આ ખેલાડી કુલ 98 વન ડે રમ્યો છે અને 162 વિકેટ પોતાના નામે નોંધાવી દીધી છે. વન ડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 45 રન આપીને 7 વિકેટ ઝડપવાનું રહ્યું છે. તાહિર હાલ શાનદાર ફોર્મમાં પણ છે. તાજેતરમાં જ તેણે IPLમાં 26 વિકેટ ઝડપીને પર્પલ કેપ પર કબજો જમાવ્યો હતો.
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ):
32 વર્ષીય શાકિબ બાંગ્લાદેશના સ્પિન આક્રમણનું નેતૃત્વ સંભાળશે. બેટિંગ ઉપરાંત કેપ્ટન મશરફે મુર્તફા ઇચ્છશે કે તેનો સૌથી અનુભવી ખેલાડી શાકિબ મહત્ત્વપૂર્ણ સમયે વિકેટ ઝડપે. શાકિબ 198 વન ડેમાં 249 વિકેટ ઝડપી ચૂક્યો છે. શાકિબે ક્રિકેટનાં બધાં ફોર્મેટમાં બાંગ્લાદેશની સફળતામાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો છે. જોકે હાલ શાકિબ ઈજાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે અને આ જ વાત બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય બની શકે છે. શાકિબનો આ સંભવતઃ અંતિમ વર્લ્ડકપ હોઈ શકે.