સુપ્રીમે કેન્દ્રને કહ્યું વળતરની નીતિ બનાવશો ત્યાં સુધી ત્રીજી લહેર પણ પૂરી હશે
કોરોનાથી મરનાર લોકો માટે વળતર સંબંધિત એક અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તમે નીતિ બનાવવાનું વિચારતા રહેશો અને ત્યાં સુધી ત્રીજી લહેર પૂરી પણ થઈ ગઈ હશે.
11 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા કેન્દ્રને સુપ્રીમની તાકીદ
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને 11 સપ્ટેમ્બર સુધી જવાબ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. 30 જુને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે ડેથ સર્ટિફિકેટ જારી કરવા માટે તથા કોરોનાથી મરનાર લોકોના પરિવારને વળતર ચુકવવા નીતિ બનાવવાનું જણાવ્યુ હતું.
તાત્કાલિક પગલાં નહીં ભરાય તો ત્રીજી લહેર પણ પૂરી થઈ જશે-સુપ્રીમ
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને જણાવ્યું કે અમારા આદેશ પછી ઘણો સમય વીતી ગયો છે અને જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ હશે અને સરકારે આનાથી પણ મોડો પડકાર વેઠવો પડશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને જણાવ્યું કે મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવાનું તથા કોરોનાથી મરનાર લોકોના વળતર સંબંધિત આદેશ તો ઘણા સમય પહેલા આપવામાં આવ્યો હતો. હવે તમે જ્યાં સુધી આ અંગે પગલા ભરશો ત્યાં સુધીમાં તો ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ હશે.
શું છે મામલો
30 જુને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે કોરોનાથી મરનાર લોકોના પરિવારને વળતર આપવા માટે નીતિ બનાવવામાં આવે જોકે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે કેન્દ્ર વળતર આપી શકે તેવી સ્થિતિમાં નથી. આજે ફરી વાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વળતર સંબંધિત નીતિ આપવાની તાકીદ કરીને ખાસ જણાવ્યું છે કે તમે જ્યાં સુધી નીતિ બનાવશો ત્યાં સુધી તો ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ હશે.
આજે શું થયું
આજે આ મામલો ન્યાયમૂર્તિ એમ આર શાહ અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠમાં લેવામાં આવ્યો હતો. સુનાવણીની શરૂઆતમાં જ એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કોર્ટને જાણ કરી હતી કે આજ સુધી સોગંદનામું દાખલ કરવામાં આવ્યું નથી. ભાટીએ આ માટે 10 દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે આ મામલો હજુ સરકાર પાસે પેન્ડિંગ છે. આનો જવાબ આપતા બેન્ચના ચેરમેન જસ્ટિસ શાહે કહ્યું કે આદેશ આવ્યાને ઘણો સમય વીતી ગયો છે. સરકાર કંઈક કરે ત્યાં સુધીમાં ત્રીજી લહેર પસાર થઈ જશે. કોર્ટે કહ્યું કે સરકારે પહેલાથી જ સમય માંગ્યો છે. હવે તેણે 11 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવો જોઈએ.