પંચમહાલના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડની અનાજની બોરીઓ ગુમ થવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગરીબોના પેટનો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા શખ્સો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કૌભાંડનો આંકડો વધીને હવે 3 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજના ગોડાઉનનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઘઉંની 16 હજાર, ચોખાની 2500 જેટલી બોરી મળી અંદાજિત 1.56 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે મોડા મોડા પણ જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું.
તેમણે ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુઓ સહિત ભૂતકાળમાં કાલોલ ખાતે ફરજ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 વ્યક્તિ વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ છે તે મુજબ કૌભાંડનો આંકડો 3 કરોડને પણ વટાવી ચુક્યો છે.
જેમાં રૂ. 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂ.70,28,000ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72,000ની કિંમતની 18 બોરી ખાંતથા કપાસિયા તેલના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે. જેથી કુલ 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયાનો જથ્થો બારોબાર સગેવગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે.
કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આમ કુલ મળી કાલોલ નગર પાલિકા ના ઉપ પ્રમુખ સહીત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ ના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.જો ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડ માં કેટલાય રાજકીય નામો સામે આવા ની શક્યતા ઓ છે જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.