યૂપીમાં ભારે વરસાદના કારણે થયેલા મોતમાં કુલ 22 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેને પગલે સરકારે આજે અને કાલે 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
યૂપીમાં વરસાદનો કહેર યથાવત
અત્યાર સુધીમાં 22 લોકોના થયા મોત
આજે અને કાલે શાળાઓ રહેશે બંધ
છેલ્લા 24 કલાકમાં યૂપીમાં જોરદાર વરસાદ વરસ્યો છે. આ સમયે ખાસ કરીને પૂર્વી ભાગમાં મૂસળધાર વરસાદની સ્થિતિ બની છે. અનેક શહેરોમાં પાણી ભરાયા છે. આ સાથે ભારે વરસાદના કારણે કુલ ઘટનામાં 22 લોકોના મોત થયા છે. આંચલિક હવામાન કેન્દ્રનો રિપોર્ટ કહે છે કે છેલ્લા 24 કલાકમાં પ્રતાપગઢ, અયોધ્યામાં 20-20 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. આ સિવાય અમેઠીમાં 19 સેમી, કુંડા, મઉ,પટ્ટી, બસ્તી, લાલગંજ, રાયબરેલીમાં 17-17 સેમીનો વરસાદ થયો છે તો રાજધાનીમાં લખનઉમાં 11 સેમી વરસાદ નોંધાયો છે. આ વરસાદની અસર સડક અને રેલમાર્ગ પર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.
ક્યાં કેટલા મકાન થયા જમીન દોસ્ત
વરસાદના કારણે પ્રદેશના અનેક ભાગમાં દીવાલો કે મકાન પડી જવાની ઘટનાઓ બની છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. જોનપુરમાં 4, ફતેહપુરમાં 3, બારાબંકી અને પ્રતાપગઢમાં 2-2 તો કુશીનગર અને સુલ્તાનપુરમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતિ અનુસાર જોનપુરમાં વરસાદના કારણે કાચા મકાનોની દીવાલો પડી જવાની માહિતિ મળી રહી છે. આ સિવાય અલગ અલગ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાના કારણે એક પરિવારના કુલ 3 સભ્યો સહિત કુલ 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
આજે અને આવતીકાલે સ્કૂલો રહેશે બંધ
પ્રદેશમાં આવનારા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થાનો પર વરસાદનું અનુમાન છે. સરકારે વરસાદની સંભાવના જોતા શાળા અને કોલેજમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરેક મંડલાયુક્ત તથા જિલ્લા અધિકારીઓને તત્પરતા સાથે રાહત કાર્ય સંચાલિત કરવાના આદેશ આપ્યા છે. તેઓએ કહયું કે વરિષ્ઠ અધિકારીગણ ક્ષેત્રના ભ્રમણ કરીને કામ પર નજર રાખે. આવનારા 2 દિવસ પ્રદેશમાં શાળા અને કોલેજોનું કાર્ય બંધ રાખવાના પણ આદેશ આપ્યા છે. તેઓએ લોકોને સાવધાની રાખવાની અપીલ પણ કરી હતી.