સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી નજીક આવેલ હાઇવે પર કાર અકસ્માતમાં કચ્છના બે તલાટીના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ સાથે જ આસપાસના લોકો પણ મદદ માટે તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત થતા અહેવાલ મુજબ કચ્છમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા બે યુવાનો અને એક શિક્ષક યુવક કચ્છથી કાર લઇને દસાડા સગાને ત્યાં યોજાયેલ એક પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા.
2 લોકોના કમકમાટી ભર્યા મોત
દરમિયાન વડગામ દસાડા વચ્ચે કોયલ માતાના મંદિર પાસે માંતેલા સાંઢની માફક પુરઝડપે જતી કાર રોડ પર બેથી ત્રણ વખત પલ્ટી મારીને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ગાડીમાં સવાર બંને તલાટી કમ મંત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
1 યુવકનો આબાદ બચાવ
જો કે, ગાડીમાં સવાર શિક્ષકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવને પગલે સામેથી આવી રહેલ છોટા હાથીના ચાલકે પણ પોતાનું વાહન રોડ નીચે ઉતારી લીધુ હતુ. જેમાં છોડા હાથીના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
સુરતમાં 2 બાળકોના મોત
આ તરફ સુરતમાં સેન્ટ થોમસ સ્કૂલ નજીક આવેલા વેસુના તળાવમાં 16 અને 14 વર્ષના સગીર બાળકોનું તળાવમાં ડૂબી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતા. આ બનાવ અંગે જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંન્ને યુવકોને બહાર કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કચ્છમાં જૂથ અથડામણમાં 2 વ્યક્તિના મોત
કચ્છના મીઠાપુરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ સમુદાયના હથિયારધારી બે જૂથ સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે વ્યકિતના મોત થયા હતા. જ્યારે 5થી વધુ શખ્સોને ઈજા પહોંચી હતી.
જો કે ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. આ સમગ્ર મામલે પાલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.