શેરી, શહેર, ગામની ભાગોળ, ધોરી માર્ગો પર રખડતા ઢોર મોત બનીને વિહાર કરી રહ્યા છે.ત્યારે હવે રખડતા ઢોરે જૂનાગઢમાં પણ એક યુવાનનો ભોગ લીધો છે.
જૂનાગઢમાં આખલાની અડફેટે યુવકનું મોત
19 વર્ષિય યુવકનું સારવાર દરમિયાન મોત
મઢડાથી દર્શન કરી પરત ફરતા બની હતી ઘટના
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ અટકવાનું નામ જ નથી લેતો. ઢોરની ઢીંકે ચડેલા અનેક નિર્દોષ લોકો મોતને શરણ થયા છે. તેવામાં જૂનાગઢમાં આખલાની અડફેટે વધુ એક યુવકનું મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. ઢોરની અડફેટે ચડેલા 19 વર્ષિય યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ વેળાએ એકના એક પુત્રનું મોત નિપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે અને રખડતા ઢોર પર અંકુશ લગાવવા માટે પરિવારજનો માંગ ઉઠાવી રહ્યા છે.
એક્ટિવાને આખલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢના મધુરમમાં રહેતો હિરેન ભનુભાઈ પરમાર નામનો 19 વર્ષીય યવાન ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન મઢડાથી દર્શન કરી જૂનાગઢ જતો હતો તે વેળાએ સ્વામી ગુરુકુળ પાસે એક્ટિવાને આખલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા તેમના પિતાનું મોત નીપજ્યું હતું. બાદ હવે પુત્રનું મોત થતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે.
બે દિવસ આગાઉ વડોદરામાં થયું હતું આધેડનું મોત
મહત્વનું છે કે, બે દિવસ અગાઉ વડોદરાના સુભાનપુરામાં રાજેશ ટાવર રોડ પર રખડતા ઢોરે એક બાઈક ચાલકનો ભોગ લીધો હતો. બાઇક ચાલક જિગ્નેશ રાજપૂત ગાયની અડફેટે આવી જતાં જમીન પર પટકાયા હતા જેમાં તેમને માંથામાં થયેલી ગંભીર ઈજા તેમના મોતનું કારણ બની હતી.જિગ્નેશ રાજપૂત જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્ટ્રીટલાઈટ બંધ હતી. આથી અંધારું હોવાથી ગાય દેખાઈ નહીં અને અકસ્માત સર્જાયો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું.