કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દિવસેને દિવસે ડરાવી રહ્યું છે. ઓક્સિજન અને સારવાર માટે ઉપયોગમાં આવતા સાધનોની અછતથી દર્દીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસાની હોસ્પિટલમાં 5 દર્દીઓના ઓક્સિજનની અછતથી મૃત્યુ થયા હોવાના આરોપ લાગ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા
ડિસામાં 2 દિવસમાં 17 દર્દીઓના કોરોનાથી મોત
ઓક્સિજનની અછત હોવાના લાગ્યા આરોપ
ઉલ્લેખનીય છે કે,કોરોના હવે ખૂબ જ ઘાતક બની રહ્યો છે. કોરોનાના કારણે હવે લોકોના ટપોટપ મોત નિપજી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ઓક્સિજનની અછત સર્જાતા દર્દી ઓક્સિજન માટે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આજે ડીસાની હેત ICUમાંથી 5 દર્દીના મોત નીપજતા હાહાકાર થઇ ગયો છે.આ મોત ઓક્સિજનની અછતના કારણે થયાં હોવાના આક્ષેપ છે.
2 દિવસમાં 17 દર્દીઓના મોત
ઉલ્લેખનીય છે કે, ડીસાની રાધે કૃષ્ણ હોસ્પિટલમાં પણ 5 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. તો ગઇકાલે હેત ICUમાં 7 દર્દીઓના મોત નીપજ્યાં હતાં. જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ડોક્ટરો પણ હવે ઓક્સિજન વગર લાચાર છે.
પરિસ્થિતિ ખુબજ ભયાનક થાય તો નવાઇ નહીં
દર્દીઓ ઓક્સિજન માટે આમ તેમ જીવ બચાવવા દોડી રહ્યા છે. છતાં પણ ઓક્સિજનનો જથ્થો જિલ્લામાં મળી રહ્યો નથી. બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં ઓક્સિજન વગર ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો આવી જ રીતે ચાલશે તો પરિસ્થિતિ ખુબજ ભયાનક થશે તો નવાઇ નથી.
ઓક્સિજનની અછતને પૂરી કરવા લોકોની માગ
દર્દીઓના સગાઓ દર્દીને લઇને આમતેમ દોડી રહ્યા છે ત્યારે કેટલાય દર્દીઓના મોતતો ગાડીમાં એકથી બીજી હોસ્પિટલ લઈ જવામાં મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે સરકાર ત્વરિત ઓક્સિજનની અછતને પૂરી કરે જેથી અન્ય દર્દીઓ જીવ બચાવી શકાય.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.
આ 2 જિલ્લાઓમાં ચિંતા વધી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.