અમેરિકા અને નાટોના આશ્વાસન પર મહાસત્તા રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેંસ્કીને હવે મોટો ઝટકો લાગ્યો છે.
નાટોના નિર્ણયથી યુક્રેનના રાષ્ટ્રપતિને મોટો ઝટકો
રશિયાને યુક્રેનના શહેરો પર બોમ્બમારો કરવાની લીલીઝંડી મળી ગઇ
નાટો યુક્રેનમાં 'નો ફ્લાય ઝોન' લાગુ નહીં કરે
નાટોએ જાહેરાત કરી છે કે, તે યુક્રેનમાં 'નો ફ્લાય ઝોન' લાગુ નહીં કરે. નાટોના આ નિર્ણયથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી ભડકી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ NATO ના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, આના લીધે હવે રશિયાને યુક્રેનના શહેરો અને ગામડાંઓ પર બોમ્બમારો કરવાની લીલીઝંડી મળી ગઇ. તેઓએ એમ પણ કહ્યું કે, હું કીવમાં છું અને યુક્રેન નથી છોડી રહ્યો.
ઝેલેંસ્કીએ જણાવ્યું કે, પશ્ચિમી સૈન્ય સંગઠન નાટો જાણે છે કે, રશિયા વધુ હુમલાઓ કરવાનું છે. ત્યારે આ બાબતે ઝેલેંસ્કીએ વધુમાં એમ કહ્યું કે, "યુક્રેનમાં હજુ પણ નવા હુમલાઓ અને મોત થવાના છે તેમ છતાં નાટોએ જાણીજોઈને યુક્રેનની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો." આજે નાટોના નેતૃત્વએ નો-ફ્લાય ઝોન બનાવવાના કોલને નકારીને યુક્રેનના શહેરો અને ગામડાંઓમાં વધુ હુમલાઓ કરવા માટેની લીલી ઝંડી આપી દીધી છે.
'આજથી હવે જે લોકો મરશે તેઓ તમારા કારણે મરશે'
"કીવમાં પોતાની ઓફિસેથી કથિત રીતે વીડિયો મેસેજ દ્વારા ઝેલેંસ્કીએ નાટોને જણાવ્યું કે, 'હવે આજથી જે લોકોનાં મોત થશે તે મોત તમારા કારણે થશે." એ પણ તમારી નબળાઈના કારણે, તમારી અલગતાના કારણે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે, આજે નાટોનું જે શિખર સંમેલન થયું તે ખૂબ જ નબળું હતું. એક મૂંઝવણભરેલું શિખર સંમેલન હતું. એક એવું સંમેલન હતું કે જેમાં દરેક લોકો સહમત ન હોતા કે આઝાદી એ યુરોપ માટે નંબર 1 લક્ષ્ય છે. તમામ ગુપ્તચર એજન્સીઓ દુશ્મનની યોજનાથી સંપૂર્ણ રીતે વાકેફ છે. તેઓ એ વાતની પુષ્ટિ કરે છે કે, રશિયા તેના આક્રમણ ચાલુ રાખવા માંગે છે.
જો યુક્રેન નહીં બચે તો આખુંય યુરોપ નહીં બચે : ઝેલેંસ્કી
ઝેલેંસ્કીએ કહ્યું કે, "નાટોએ ઇરાદાપૂર્વક યુક્રેનની એરસ્પેસ બંધ નથી કરી." તેઓએ જણાવ્યું કે, "જો યુક્રેન નહીં બચે તો આખુંય યુરોપ નહીં બચે." જો યુક્રેનનું પતન થશે તો આખુંય યુરોપ તૂટી જશે. તમને જણાવી દઇએ કે, ઝેલેંસ્કીનું નિવેદન પણ એવાં સમયે આવ્યું છે કે જ્યારે રશિયન દળોએ યુક્રેનની રાજધાની કીવ અને અન્ય કેટલાક શહેરોને ઘેરી લીધાં. એટલું જ નહીં હવે ઘણા શહેરો પર પણ તેનો કબજો થઈ ગયો છે.
અગાઉ, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે, લશ્કરી સંગઠન યુક્રેનમાં "ફ્લાઇટ પ્રતિબંધિત ઝોન અથવા નો-ફ્લાય ઝોન" લાગુ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું પગલાંથી યુરોપના પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા સાથે વ્યાપક જંગ ભડકી જશે. બીજી તરફ સ્ટોલ્ટેનબર્ગે યુક્રેનની પીડાનો સ્વીકાર કરતા કહ્યું કે, રશિયન દળોએ યુક્રેનમાં હુમલાઓ વધુ તેજ કર્યા છે અને શહેરો તેમજ અન્ય સ્થળો પર ભારે બોમ્બમારો કરી રહ્યાં છે. જેના લીધે 10 લાખથી વધુ લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.
અમે યુક્રેન નથી જઇ રહ્યાં, ન જમીન પર અને ન હવાઈ ક્ષેત્રમાં: નાટો
સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે, 'યુક્રેનમાં જે થઈ રહ્યું છે તે ભયાનક છે. માનવીય વેદના અને જે સ્તર પર તબાહી દેખાઇ રહી છે, તેવી તબાહી આપણે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં નથી જોઇ.' જો કે, સ્ટોલ્ટેનબર્ગે કહ્યું હતું કે, "અમે યુક્રેન નથી જઈ રહ્યાં, ન તો જમીન પર કે ન તો યુક્રેનના એરસ્પેસમાં." નાટોની સુરક્ષાની બાંયધરી 30 સભ્ય દેશો માટે છે અને સંધિની કલમ 5 કહે છે કે, જો કોઈ એક સભ્ય પર હુમલો થશે તો તમામ સભ્યો તેની સુરક્ષા માટે આગળ આવશે. જો રશિયા નાટોના યુદ્ધ જહાજને તોડી પાડે છે તો આવી સ્થિતિ આવી શકે છે.