ગુજરાતમાં છાશવારે પેપર લીકની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
પેપર લીક કૌભાંડમાં મુખ્ય 3 વ્યક્તિઓ સામેલ: યુવરાજસિંહ
અમે ATS ચીફને તમામ પુરાવા આપવા માંગીએ છીએ: યુવરાજસિંહ
2014 પછીની ભરતીની તપાસ CBI કે SIT દ્વારા કરવામાં આવે: યુવરાજસિંહ
પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને ખુલાસો કરતા કહ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે જે તપાસ થઇ તેની ATSએ તપાસ કરી. ATSએ કરેલી તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, જે 16 શંકાસ્પદ વ્યક્તિઓ પેપર ફોડવાની ઘટના સાથે સંકળાયેલા હતા તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે નામ જાહેર થયા છે તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા (પ્રાંતિજ) કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે જ સંકળાયેલા નથી. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઇન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. જેમ કે, ભૂતકાળમાં જે-જે પણ પરીક્ષાઓ લેવાઇ છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70થી 80 લાખ રૂપિયા ઉઘરાવેલા છે.'
અમારી પાસે જેટલાં પુરાવા છે તે તમામ PMOના ડેશબોર્ડમાં મોકલી આપ્યા: યુવરાજસિંહ
વધુમાં કહ્યું કે, 'ઉર્જા વિભાગનું એક વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મે જાણ કરેલી કે ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક ઓનલાઇન સ્કેમ ચાલી રહ્યું છે. એની સાથે પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા છે. આ જ ભાસ્કર ચૌધરી અને તેની બીજી ગેંગ કે જે અન્ય રાજ્યોના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કર્યું હતું. અમારી પાસે જેટલાં પુરાવા છે તે તમામ PMOના ડેશબોર્ડમાં મોકલી આપ્યા છે, હજુ બીજા પણ આધાર પુરાવા છે. ATS ચીફને અમે તમામ પુરાવા આપવા માંગીએ છીએ.'
અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે: યુવરાજ સિંહ
વધુમાં યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, 'કેતન બારોટ કે જે અરવલ્લી સાથે સંકળાયેલ છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલના પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. અવિનાશના પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.'
સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી: યુવરાજ સિંહ
તદુપરાંત તેઓએ જણાવ્યું કે, 'મોબાઈલ ડિટેઈલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભાણો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે. નિશિકાંત સિંહા બ્યુરોક્રેટ સાથે જોડાયેલ છે. ભાસ્કર ચૌધરીને તિહાડ જેલમાંથી નિશિકાંત સિંહાએ છોડાવ્યા હતા. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ આ સમગ્ર સ્કેન્ડલ સાથે જોડાયેલા છે. 2016થી આ તમામની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે. છેલ્લાં 4 વર્ષમાં તેમની 10 કરોડ કરતા વધુની પ્રોપર્ટીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની તમામ ઓનલાઇન ભરતીમાં ફ્રોડ કરવામાં આવ્યું છે. ત્યારે સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી છે.'