આજે પણ મલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગના કારણે લાખો લોકો તેમની જિંદગી ગુમાવી રહ્યાં છે અને આ બીમારીઓનું મુખ્ય કારણ મચ્છર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, દુનિયાભરમાં જે રીતે મચ્છરોની સંખ્યા સતત વધતી જાય છે તે જોતાં હવે તેની સામે યુદ્ધના ધોરણે અસરકાર રીતે કામ કર્યા વગર નહીં ચાલે. બ્રિટનના ડૉક્ટર સર રોનાલ્ડ રોસે 20 ઓગસ્ટ, 1897ના દિવસે શોધી કાઢ્યું હતું કે, જીવલેણ બીમારી મલેરિયાનો વાઈરસ માદા મચ્છર દ્વારા ફેલાય છે.
આ સંશોધનની યાદમાં દર વર્ષે 20 ઓગસ્ટે મચ્છર દ્વારા ફેલાતા રોગ અંગે જાગૃતિ ફેલાવવા ‘વર્લ્ડ મૉસ્કિટો ડે’ ઉજવવામાં આવે છે. કોલંબિયામાં મચ્છરો સામે લડવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કોલંબિયાના મેડલિન શહેરની ગલીઓમાં વૈજ્ઞાનિકો ડિઝાઈનર મચ્છરો (designer Mosquitoes) છોડી રહ્યાં છે. વૈજ્ઞાનિકો ઈચ્છે છે કે, આ ખાસ મચ્છરો માણસોને ખૂબ કરડે અને તેનાથી જ દુનિયાભરના 50 કરોડ લોકોને ડેન્ગ્યુનો શિકાર બનતા બચાવી શકાશે.
કોલંબિયામાં આ પ્રયોગ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓ હવે મચ્છરોને મારવાના બદલે નવા ડિઝાઈનર મચ્છરોની સંખ્યા વધારવાની કોશિશ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાના 110 દેશોમાં ડેન્ગ્યુ દર વર્ષે હજારો લોકોનો જીવ લઈ રહ્યો છે. મેડલિન શહેરમાં વૈજ્ઞાનિકો તેમની કાર દર 50 મીટરના અંતરે રોકે છે અને ખાસ ડિઝાઈન કરવામાં આવેલા આ મચ્છરોને છોડે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, આ ડિઝાઈનર મચ્છરોમાં વોલ્બાસિયા નામના બેક્ટેરિયાને ઈન્જેક્ટ કરવામાં આવ્યા છે. આ બેક્ટેરિયા પર્યાવરણમાં ડેન્ગ્યુના મચ્છરોને ફેલાતા રોકે છે. આ ડિઝાઈનર મચ્છર જ્યારે માણસોને કરડે ત્યારે તેમની અંદર રહેલા વોલ્બાસિયા બેક્ટેરિયા લોકોના લોહીમાં ભળી જાય છે. આ બેક્ટેરિયા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની અંદર પ્રવેશે ત્યારે તે મરી જાય છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, મેડલિન શહેરની વસ્તી અંદાજે 25 લાખ છે, જેની સરખામણીએ ડિઝાઈનર મચ્છરોની સંખ્યા ઓછી પડી રહી છે. આ ખાસ ડિઝાઈનર મચ્છર ચારથી પાંચ દિવસમાં ઈંડા મૂકે છે અને બેથી ત્રણ દિવસમાં તે ઉડીને માણસોનું લોહી ચૂસવા માટે તૈયાર થઈ જાય છે.