શિવસેનાનો 'સેનાપતિ' કોણ ? શિંદે અને ઠાકરે વચ્ચે ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, કહ્યું .....
શિંદે અને ઠાકરે વચ્ચે ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર હાલમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું
હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે, ઠાકરેને મોટી રાહત
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના વિભાજન પછી શિવસેનાના નિયંત્રણને લઈને બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરતાં ઉદ્ધવ જૂથને રાહત આપી છે. કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર હાલમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.
ઉદ્ધવ જૂથને મોટી રાહત
અગાઉ બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી જ્યાં બંને પક્ષોએ પોત-પોતાની વાત કરી હતી. આ મામલો 5 જજની બેંચને સોંપવા અંગે નિર્ણય લેવામાં આવશે. બંને પક્ષોની લેખિત દલીલો ચકાસવામાં આવશે. સુનાવણી દરમ્યાન શિંદે કેમ્પના વકીલ હરીશ સાલ્વેએ તેમના વતી પ્રસ્તાવિત સુનાવણીના મુદ્દાઓ રજૂ કર્યા. સાલ્વેએ અયોગ્યતા અંગે સ્પીકરની સત્તા અને પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવી તે અંગેની બાબતો ક્રમિક રીતે રજૂ કરી.
Supreme Court asks Election Commission of India not to decide on the application filed by Eknath Shinde camp for recognition as the 'real Shiv Sena' party and allotment of the Bow and Arrow symbol to it. pic.twitter.com/7xo2JjCHRL
CJI એ પૂછ્યું કે, શું એક વખત ચૂંટાયેલા ધારાસભ્ય પર પાર્ટીનું નિયંત્રણ નથી હોતું. તેઓ પક્ષના ધારાસભ્ય પક્ષની શિસ્ત માટે જ જવાબદાર છે. આ તરફ જવાબમાં શિંદે જૂથના વકીલ સાલ્વેએ કહ્યું ક, જ્યાં સુધી ધારાસભ્ય પદ પર છે ત્યાં સુધી તેઓ ગૃહની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હકદાર છે. જો તે પક્ષ વિરુદ્ધ મત આપે તો પણ તે મત માન્ય ગણાશે. સાલ્વેએ કહ્યું કે, હું એમ નથી કહેતો કે પાર્ટી પર નિયંત્રણ નથી. હું કહું છું કે અમે પાર્ટી છોડી નથી. તેમણે પાર્ટીની અંદર જ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલાને બંધારણીય બેંચમાં ન મોકલો. અમે (હું અને સિંઘવી) અમારી દલીલ 2 કલાકમાં પૂરી કરી શકીએ છીએ.
સિબ્બલે શિંદે જૂથના દાવા પર સવાલો ઉઠાવ્યા
સિબ્બલે પ્રશ્ન કર્યો કે, જેઓ અયોગ્ય છે તેઓ ચૂંટણી પંચમાં વાસ્તવિક પક્ષ હોવાનો દાવો કેવી રીતે કરી શકે ? તેના જવાબમાં ચૂંટણી પંચના વકીલ અરવિંદ દાતારે કહ્યું હતું કે, મૂળ પક્ષકાર હોવાનો અમારો કોઈ દાવો હોય તો અમે તેના પર નિર્ણય લેવા કાયદાકીય રીતે બંધાયેલા છીએ. વિધાનસભામાંથી ગેરલાયક ઠરાવવો એ એક અલગ મુદ્દો છે. અમે અમારી સમક્ષ મૂકવામાં આવેલા તથ્યોના આધારે નિર્ણયો લઈએ છીએ. ચૂંટણી પંચમાં બંને પક્ષોની એફિડેવિટ રજૂ કરવાની તારીખ 8 ઓગસ્ટ છે. જો કોઈ પક્ષ તેમને નિર્ણય મુલતવી રાખવા વિનંતી કરે તો તેમણે તેના પર વિચાર કરવો જોઈએ. અમે આ મામલાને બંધારણીય બેંચમાં મોકલવા પર વિચાર કરીશું.