મુખ્યમંત્રી વિજય રૂપાણીના અનુગામી તરીકે મોટા માથાઓના નામ ચર્ચામાં. ભાજપમાં જે નામ ચર્ચાતા હોય છે તેને માટે પદ એ, 'હોઠ અને પ્યાલાનું અંતર' રાખી જાય છે.આ વખતે પણ એવું થશે ?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે ગુજરાતની ગાદીએ તેની ચર્ચા ચકડોળે ચઢી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાયના છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા પહેલા ,નીતિન પટેલનું નામ સૌથી આગળ હતું. નીતિનભાઈ પોતાના કાર્યાલયથી કમલમ પહોચ્યા ત્યાં સુધી,નીતિન પટેલ જ મુખ્યમંત્રી છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.પરંતુ અમિત શાહ સાથેની બેઠક બાદ, વિજય રુપાણીનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહાર આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં જેમના નામ ચર્ચાતા હોય છે તેઓ મોટા ભાગે પદ પામતા નથી હોતા તે સર્વ વિદિત છે.પણ આ વખતે આવું ના પણ થાય.અને એવું પણ બને કે ચર્ચાતા નામ સિવાય અન્ય કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.આ પણ નામ ક્યારેય,ક્યાંય ચર્ચામાં નહોતા.એટલે જરૂરી નથી કે, જે નામ ચર્ચામાં હોય તે મુખ્યમંત્રી બની જાય.આમ છતાં કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામ વિજય રૂપાણીના અનુગામી તરીકે ચર્ચામાં છે.
શા માટે રૂપાલા ?
કેન્દ્રિય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા રાજનીતિમાં આવ્યા પહેલા અમરેલી પંથકમાં શિક્ષક હતા. કડવા પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલા કેશુભાઈના વિશ્વાસુ હતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોની વસ્તી મોટી સંખ્યામાં છે.અને પરસોત્તમ રૂપાલાની સમાજ પર પકડ પણ છે. અમરેલી-સુરતમાં સામાજિક કાર્યો કે પાર્ટીના કામ માટે એક હાકલે સમાજ દાનનો ધોધ વહાવી આપે છે.આર્થિક રીતે સદ્ધર એવા સમાજનું ગુજરાતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. પરસોત્તમ રૂપાલાએ ગુજરાતમાં મંત્રી રહ્યાંથી,કેન્દ્રીય મંત્રી સુધીની સફર તડકી-છાંયડી વચ્ચે ખેડી છે.હાલ કેન્દ્રમાં મંત્રી છે.અગાઉ પાટીદાર આંદોલન વખતે પણ પરસોત્તમ રૂપાલાનું નામ મુખ્યમંત્રી પદ માટે ઉછળી ચુક્યું હતું. વખતે પણ ગુજરાતની રાજનીતિથી માંડીને કૃષિ-કાયદા- સહકાર વિભાગ પર પણ તેમની પકડ હોવાથી પરસોત્તમ રૂપાલાની ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે સંભાવનાઓને નકારી શકાય નહિ.
નીતિન પટેલની કેમ થઈ શકે છે પસંદગી?
ગુજરાતની રાજનીતિમાં કદાવર નામ એટલે નીતિન પટેલ.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવા પ્રદેશમાંથી આવે છે જ્યારે, સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ બેઠક લોકસભાની હતી ત્યારે, મહેસાણા માં એ.કે.પટેલ સંસદસભ્ય હતા.ઉત્તર ગુજરાત ભાજપનું એપી સેન્ટર રહ્યું છે. અને નીતિન પટેલ અહીંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.ગમે તેવી પરિસ્થિતિમાં એક નિષ્ઠ રહી પાર્ટીને વફાદાર રહેલા નીતિન પટેલના મો એ આવેલો મુખ્યમંત્રી પદનો કોળીયો છીનવાઈ ગયાની ચર્ચા પણ હતી. સ્પષ્ટ વક્તા અને રોકડું પરખાવનારા નીતિનભાઈ '90નાં દાયકાથી રાજનીતિમાં સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતા નીતિન પટેલ વહીવટીય કોઠાસૂઝ પણ ધરાવે છે. પાટીદાર સમાજ પોતાના સમાજનો મુખ્યમંત્રી આગામી ચૂંટણી બાદ હોય તેવી લાગણી ધરાવે છે. આ શ્રુંખલામાં નીતિન ભાઈ ફીટ બેસે છે.
કેમ મનસુખ માંડવીયા ?
મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના સૌથી મોટા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે.ગુજરાતની રાજનીતિમાં લેઉવા પાટીદારોનું પણ કડવા પાટીદાર જેટલું જ યોગદાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.એક પણ ચુંટણી લડ્યા વગર મનસુખ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા છે.અને હાલમાં જ કેબીબેત મંત્રી સુધીનું પ્રમોશન મેળવ્યું છે.તેના પરથી જ તેમની સંગઠનાત્મક કૂનેહ,અને વહીવટીય ક્ષમતાનો અંદાજ આવી જાય છે. વડાપ્રધાનના એકદમ વિશ્વાસુ રહેલા માંડવીયાનું નામ પણ અગાઉ મુખ્યમંત્રી તરીકે ચાલી ગયું છે.પાટીદાર અનામત આંદોલન વખતે મનસુખ માંડવીયાની ભૂમિકા 'કેન્દ્રના દૂત' જેવી હતી અને કહેવાય છે કે, વડાપ્રધાન કાર્યાલયમાં ગુજરાતની ગતિવિધિનું સીધું રીપોર્ટીંગ કરતા હતા. 2012માં પહેલી વખત રાજ્યસભાના સાંસદ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ માંડવીયાની ભરપૂર પ્રસંશા કરી હતી. કેન્દ્રમાં આરોગ્ય મંત્રાલય સંભાળતા માંડવીયા સામાન્ય પ્રવક્તાથી કેન્દ્રીય કેબીનેટ મંત્રી બન્યા છે.
પ્રદીપસિંહ જાડેજાની કેમ થઈ શકે પસંદગી?
ક્ષત્રિય સમાજનો સૌથી મોટો ચહેરો અને નિર્વિવાદ વ્યક્તિત્વ એટલે પ્રદિપસિંહ જાડેજા. ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે એક વાર તો આ નામ વિચારણામાં લાવવું જ પડે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ એવા પ્રદિપસિંહ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પણ પ્રીતિપાત્ર રહ્યા છે. જો ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળે તો ઠાકોર સમાજ પણ ભાજપ તરફ વળી શકે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રદિપસિંહ વરસોથી ગૃહ વિભાગ સંભાળે છે.પ્રદીપસિંહના જ નેતૃત્વમાં ગુડા એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જેહાદ જેવા કાયદા અમલમાં આવ્યા.સમગ્ર દેશમાં ગુજરાતની પોલીસની એક આગવી ઓળખ છે.રાજ્યમાં ઉદભવેલા અનેક આંદોલનને સમાપ્ત કરવામાં પ્રદીપસિંહની મોટી ભૂમિકા રહી છે. પ્રદિપસિંહ ઉત્તમ વહીવટીકર્તા હોવાની સાથે સાથે અધિકારીઓ પર પણ સારી પકડ ધરાવે છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીના સાંસદ છે. સુરતથી મુબઈ વચ્ચે ચાલતી ટ્રેનમાં અપ-ડાઉન કરતા મુસાફરોની હાલાકી નિવારવા તેમણે કેન્દ્રમાં અનેક વખત રજૂઆત કરી સમસ્યાઓનો હલ કાઢ્યો હતો. લોક-ડાઉન વખતે પણ સૂરત-નવસારીના પરપ્રાંતિયો માટે વિશેષ વ્યવસ્થાથી તેઓને વતન રવાના કર્યાનું સરાહનીય પગલું પણ તેમના નામે બોલે છે.વડાપ્રધાન મોદીના સુરતના કાર્યક્રમોની વિશેષ જવાબદારી નિભાવતા ચંદ્રકાંત રુઘુનાથ પાટીલ ગુજરાતના પહેલા એવા પ્રદેશ અધ્યક્ષ છે જેઓ પાટીદાર સમાજમાંથી નથી આવતા. 2014માં ઉત્તરપ્રદેશના સહ પ્રભારી રહી ચુકેલા પાટીલ ગુજરાતમાં પણ અધ્યક્ષ પદે સુચારુ કામગીરી નિભાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નિકટમ સાથીઓમાં સી.આર.પાટીલનું નામ અગ્રેસર છે.
ગોરધન ઝડફિયા પણ હરીફાઈમાં
ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજનું વિશ્વ્સ્થ નામ એટલે ગોરધન ઝડફિયા. રાજ્યના એક સમયે ગૃહમંત્રી રહેલા ઝડફિયા કેશુભાઈ પટેલના અત્યંત વિશ્વાસુ. કેશુભાઈ પટેલે જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે,ઝડફીયા ભાજપથી નારાજ થઇ GPPમાં જોડાયા અને વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. કેશુભાઈએ GPP સમેટી લેતા ગોરધનભાઈ ફરી ભાજપમાં આવી ગયા અને સંગઠનની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ઝડફિયા, ભાજપ માટે 'થીંક ટેંક' સદ્સ્યોમાના એક છે. તેમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સંભાવનાઓ જોવાઈ રહી છે.