ગોંડલમાં નગરપાલિકા સંચાલિત મેળામાં વીજ કરંટ લગતા 2 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યાં હતા. એક વ્યક્તિને બચાવવા જતાં બંનેએ સારવારમાં દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.
ગોંડલમાં નગરપાલિકા સંચાલિત મેળામાં દૂર્ઘટના
લોકમેળામાં 2 વ્યક્તિઓના વીજ કરંટથી મૃત્યુ
સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે યોજાયો છે લોકમેળો
ગોંડલ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગોંડલ નગરપાલિકા દ્વારા તહેવારોને મેળાને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આગેવાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેળામાં દૂર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવતા મેળાની મોજ માતમમા ફેરવાઇ ગઇ છે. લોકમેળામાં 2 વ્યક્તિઓને વીજ કરંટ લગતા કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મેળામાં એક વ્યક્તિને કોઈ પણ કરણસર વીજ કરંટ લાગ્યો હતો.
સારવાર દરમિયાન બંને વ્યક્તિઓના મૃત્યુ
જે દરમિયાન આ વ્યક્તિને બચાવવા જવાના પ્રયાસમાં અન્ય એક કર્મી પણ વીજ ઝપટે ચડયો હતો. જેમાં બંનેને ગંભીર અસર થવા પામી હતી. આ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને વીજ કરંટ લાગતા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવારે અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરતું સારવાર કારગત ન નિવડતા બંનેએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.
ગોંડલ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન
નોંધનીય છે કે કોરોના કહેરને પગલે ગોંડલ નગરપાલિકા દ્વારા બે વર્ષથી મેળાનું આયોજન મૌકુફ રખાયું હતું. પરતું હાલ કોરોના કહેર હળવો પડતા પાલિકા દ્વારા બે વર્ષ બાદ સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશ ધડુક, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહીતના આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સાત દિવસ સુધી યોજાનારા આ લોક મેળામાં લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગોંડલ શહેર પોલીસના PI, PSI, SRP જવાનો સહિતના 100થી વધુ પોલીસ કર્મીઑ સેવા આપી રહ્યા છે.